Represents image

હાલ વિદેશમાં હજુ પણ અનેક ભારતીયો ફસાયા છે. તેઓ ભારત આવવા માગે છે પણ હાલ કોરોના વાઇરસને કારણે લોકડાઉન જાહેર કર્યા બાદ ફ્લાઇટો બંધ કરી દેવામાં આવી છે. આ ભારતીયોને લાવવા મુદ્દે દિલ્હી હાઇકોર્ટમાં કેન્દ્રએ કહ્યું છે કે હાલ તે શક્ય નથી કેમ કે બધી જ ફ્લાઇટો વાઇરસને કારણે બંધ કરી દેવામાં આવી છે.

કેન્દ્રએ દિલ્હી હાઇકોર્ટમાં આપેલા જવાબમાં કહ્યું હતું કે વિદેશોમાં જે ભારતીયો ફસાયા છે તેમને ભારત લાવવા હાલ મુશ્કેલ છે કેમ કે ફ્લાઇટોને લોકડાઉનને કારણે બંધ કરી દેવામાં આવી છે તેમજ તેમને લાવવા પણ જોખમી સાબિત થઇ શકે છે.

સરકારે સાથે એમ પણ કહ્યું છે કે જે પણ ભારતીયો વિદેશમાં ફસાયા છે તેમનું પુરતુ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને આ માટે અન્ય દેશોમાં રહેલા હાઇ કમિશન તેમજ ભારતીય કચેરીઓને આદેશ આપવામા આવ્યા છે સાથે અન્ય દેશોની સરકારો પણ આવા લોકોની તકેદારી રાખી રહી છે કે કેમ તેની જાણકારી ભારત સરકાર મેળવી રહી છે.

જે લોકો વિદેશોમાં ફસાયા છે તેમાં સૌથી વધુ અમેરિકા અને બ્રિટનમાં હોવાનું અનુમાન છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા ઇટાલીમાં પણ અનેક લોકો છે. આ લોકો એવા દેશોમાં ફસાયા છે કે જ્યાં કોરોનાની મહામારી વધી ગઇ છે અને તેથી તેઓ ભારત આવવા માગે છે જોકે હાલ ભારતમાં પણ સ્થિતિ અન્ય દેશ જેવી થઇ રહી છે અને વાઇરસ જડપથી ફેલાવા લાગ્યો છે.