મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ (ANI Photo)

મની લોન્ડ્રિંગ કેસમાં ફસાયેલા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખને શનિવારે 14 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. મની લોન્ડ્રિંગ કેસમાં ઇડીએ તેમની ધરપકડ કરી હતી, જે પછી 6 નવેમ્બર સુધી દેશમુખને ઇડીની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.

6 નવેમ્બરે અનિલ દેશમુખશે આજે સ્પેશ્યલ પીએમએલએ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી કોર્ટે તેઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાના આદેશ આપ્યા હતા. જોકે મની લોન્ડ્રિંગ કેસમાં ઇડીએ તેમની કસ્ટડી માંગી હતી. પરંતુ સ્પેશ્યલ હોલીડે કોર્ટે ઇડીની રજૂઆતને ના માનતા અનિલ દેશમુખને ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, મની લોન્ડ્રિંગ કેસમાં સોમવારે 12 કલાકની પૂછપરછ પછી ઇડીએ અનિલ દેશમુખની ધરપકડ કરી હતી. એજન્સી મુજબ, પૂછપરછ દરમિયાન અનિલ દેશમુખ તરફથી સંતોષકારક જવાબ મળ્યા નહોતા, જે પછી એજન્સીએ એમની ધરપકડ કરી હતી. આ પહેલા ઇડીએ અનિલ દેશમુખના પુત્ર ઋૃષિકેશ દેશમુખને પૂછપરછ માટે એજન્સી સમક્ષ હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.

નોંધનીય છે કે, 25 ફેબ્રુઆરીએ મુંબઇમાં સ્થિત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલીયા બહાર વિસફોટથી ભરેલી એક ગાડી મળી આવી હતી. આ કેસમાં મુંબઇ પોલીસે ઓફિસર સચિન વાઝેનું નામ સામે આવ્યું હતું. જે પછી મહારાષ્ટ્ર સરકારે એ સમયે મુંબઇ પોલીસના કમિશનર પરમવીર સિંહની બદલી કરી તેમને હોમગાર્ડના ડીજી બનાવી દીધા હતા.

આ ઘટનાક્રમ દરમિયાન પરમવીર સિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી દાવો કર્યો હતો કે, અનિલ દેશમુખ જ્યારે ગૃહ મંત્રી હતા ત્યારે દર મહિને સચિન વાઝેને 100 કરોડ રુપિયા આપવાની માંગ કરી હતી.