999 candidates in fray for 89 seats in first phase elections

ગુજરાતની મહાનગરપાલિકાની ચૂંટણીમાં મંગળવારે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો. તેનાથી હવે ઉમેદવારોનું અંતિમ ચિત્ર ઊભું થયું છે.

ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં ચૂંટણી લડવા 2299 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં અમદાવાદમાં 771, વડોદરામાં 287, સુરતમાં 484, જામનગરમાં 236, રાજકોટમાં 310 અને ભાવનગરમાં 211 ઉમેદવારો મેદાનમાં છે. હવે ગુજરાતમાં મનપાની ચૂંટણી માટે પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચારમાં જોર લગાવ્યું છે. 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે.

સોમવારે સરદારનગર અને ઠક્કરબાપાનગર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદાવારનો ઉમેદવારીપત્ર રિજેક્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વસ્ત્રાલમાંથી ભારતીબેન પંચાલ અને નારાણપુરામાંથી ચંદ્રીકાબેન રાવલે મંગળવારે ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા હતા. તેનાથી અમદાવાદ મ્યુનિસિપલ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની સંખ્યા ઘટીને 188 થઈ હતી. ભાજપે કુલ 192 બેઠકોમાંથી તમામ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે. તેમાંથી એક વિજેતા જાહેર થયા છે.

ઉમેદવારોની સંખ્યા વધુ છે તેવા ટોચના પાંચ વોર્ડમાં ગોમતીપુર, મકતમપુરા અને બહેરામપુરાનો સમાવેશ થાય છે. આમાંથી ત્રણ વોર્ડમાં મુસ્લિમ સમુદાયનું વર્ચસ્વ છે. ઓવેસીની પાર્ટી AIMIMએ 20 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે.

અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 192 બેઠકો માટે કુલ 771 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના એક ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયો છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 191 ઉમેદવારો અને કોંગ્રેસના 188 ઉમેદવાર મેદાનમાં છે. બહુજન સમાજ પાર્ટીના 54 અને આમ આદમી પાર્ટીના 158 ઉમેદવારો મેદાનમાં છે. તેમજ અપક્ષમાં 102 અને અન્ય પક્ષોના 89 ઉમેદવારો મેદાનમાં છે.