ખેડૂતોએ નવી દિલ્હીમાં ગાંઝીપુર બોર્ડર ખાતે કૃષિ કાયદાના વિરુદ્ધમાં તેમના આંદોલન દરમિયાન સૂત્રોચ્ચાર કર્યા હતા. (PTI Photo/Arun Sharma)

કૃષિ કાયદાના વિરુદ્ધમાં દિલ્હીના સીમાડે આંદોલન કરી રહેલા ખેડૂતોએ બુધવારે જણાવ્યું હતું કે તેઓ સરકાર સાથે મંત્રણા કરવા માટે તૈયાર છે, પરંતુ સરકાર નક્કર દરખાસ્ત કરે.

બુધવારે સંયુક્ત કિસાન મોરચાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે સરકાર આંદોલનને હળવાશમાં ના લે. સરકાર આગ સાથે રમવાની ભૂલ ના કરે. સરકાર દ્વારા વાતચીત માટે જે દરખાસ્ત કરવામાં આવી છે, તેને અમે ફગાવીએ છીએ. આ દરખાસ્ત ઉપર વાતચીત શક્ય નથી. સિંધુ બોર્ડર પર આંદોલનકારી ખેડૂતે કહ્યું કે વર્તમાન સમયે સરકાર સાથે વાતચીત કરવાની કોઇ ઇચ્છા નથી. તેમણે સરકારને ફરીથી નક્કર દરખાસ્ત મોકલવાનું કહ્યું હતું.

કેન્દ્ર સરકારની ચિઠ્ઠીનો લેખિતમાં જવાબ આપતા સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું હતું કે આ ચિઠ્ઠી બદનામ કરવાનો એક પ્રયાસ છે. સરકારે વાતચીત માટે ષડયંત્ર કર્યુ છે. સરકાર આંદોલન તોડવાના પ્રયાસો કરી રહી છે. સરકારનું આવું વલણ ખેડૂતોને આંદોલન વધારે પ્રબળ કરવા માટે મજબૂર કરે છે. તેમણે કહ્યું કે ખેડૂતોની માંગ ત્રણે કૃષિ બિલને રદ કરવાની છે, પરંતુ સરકાર સુધારા સિવાય કોઇ વાત કરતી નથી. અમારે સુધારા નહીં પણ કૃષિ કાયદાને રદ કરવાં છે.

ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે ખેડૂતો માત્ર અનાજ ઉત્પન્ન નથી કરતા પરંતુ તેમના દિકરાઓ સીમા પર દેશની રક્ષા પણ કરે છે. સરહદ પર રહેલા દિકરાઓનું પણ હવે મનોબળ તૂટી રહ્યું છે, કારણ કે તેમના માતા પિતા રસ્તા પર છે. અમે સરકારને ચેતવણી આપીએ છીએ કે તે આગ સાથે ના રમે.

દેશમાં ખેડૂતના આંદોલનનો બુધવારે 28મો દિવસ હતો. ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હીની સરહદ ઉપર આવીને બેઠા છે. સરકારે લાગુ કરેલા નવા કૃષિ બિલના વિરોધમાં આ આંદોલન થઇ રહ્યું છે. ખેડૂતો અને સરકાર વચ્ચે અનેક મંત્રણાઓ છતા કોઇ સામાધાન મળતું નથી.