જાણીતા ફિલ્મકાર અનીસ બાઝમીની 2005ની કોમેડી હિટ ‘નો એન્ટ્રી’ની લાંબા સમયથી રાહ જોવાતી સીક્વલ હવે આગળ વધી રહી છે. ‘નો એન્ટ્રી 2’ નામની આ સીકવલ ફિલ્મ 2026ના ક્રિસમસમાં રિલીઝ કરવાની તૈયારી છે.
આ ફિલ્મમાં અર્જૂન કપૂર અને વરુણ ધવન મુખ્ય ભૂમિકામાં છે, તે બંને ડબલ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં ત્રીજો લીડ રોલ દિલજિત દોસાંજનો હતો, જેણે હવે તારીખોના કારણે આ ફિલ્મ છોડી દીધી હોવાનું તાજેતરમાં બોની કપૂરે જાહેર કર્યું હતું.
અભિનેતા અને ગાયક દિલજીત દોસાંઝના બહાર નીકળવાથી ઓનલાઈન અટકળો શરૂ થઈ હતી, જેમાં સર્જનાત્મક મતભેદો અથવા તેમની તાજેતરની ફિલ્મ ‘સરદારજી 3’માં હાનિયા આમિરની ભૂમિકાને સંભવિત કારણો માનવામાં આવે છે. જોકે, પ્રોડ્યુસર બોની કપૂરે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરી હતી કે માત્ર તારીખોના પ્રશ્નોને કારણે જ દિલજીતે આ પ્રોજેક્ટ છોડી દીધો હતો.
બોની કપૂરે કહ્યું, “હા, અમે સારી રીતે સમજણપૂર્વક અલગ થયા છીએ કારણ કે તારીખો અમારી જરૂરિયાતો સાથે અનુકૂળ નહોતી, આશા છે કે, અમે ટૂંક સમયમાં એક પંજાબી ફિલ્મ સાથે મળીને કામ કરીશું.”
દિલજિત હાલમાં એક સાથે અનેક કામમાં વ્યસ્ત છે. જેમાં 26 ઓક્ટોબરથી 13 નવેમ્બર, 2025 સુધી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ઓરા ટૂરનો સમાવેશ થાય છે અને તેના ચાલુ ફિલ્મ પ્રોજેક્ટ્સ પણ છે તેથી તેની પાસે આ સીકવલ ફિલ્મ માટે સમય નથી.
