બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન અને કિયારા અડવાણી (ANI Photo)

સત્યપ્રેમ ઉર્ફે સત્તુને (કાર્તિક આર્યન) અમદાવાદમાં રહેતી અને ગુજરાતી પરિવારમાંથી આવતી સુંદર, ઉભરતી ગાયિકા કથા (કિયારા અડવાણી) પ્રત્યે પહેલી નજરનો પ્રેમ થઈ જાય છે, પરંતુ તેમની પ્રેમ કહાની એટલી સરળ નથી જે સત્તુએ વિચારી છે.

કાયદાશાસ્ત્રની પરીક્ષામાં નાપાસ, ના કોઈ નોકરી, ના કોઈ મિત્ર, મા અને બહેન તરફથી અવારનવાર સાંભળવા પડતા મ્હેણા-ટોણાથી સત્તુનું જીવન આદર્શથી ક્યાંયથી દૂર છે છતાં તેના ચહેરા પરનું સ્મિત હંમેશા કાયમ રહે છે, પછી ભલેને ગમે તેવી સ્થિતિ હોય. તેના પિતા (ગજરાજ રાવ) તેના એકમાત્ર મિત્ર છે, જેઓ તેને સમજે છે. જ્યારે તેમને જાણ થાય છે કે તેમનો પુત્ર પ્રથમ નજરમાં જ સુંદર દેખાતી છોકરી કથાના પ્રેમમાં પડ્યો છે, ત્યારે તેને મદદ કરે છે. આ સમયે કથા તેવા યુવકના પ્રેમમાં હોય છે, જે અમીર છે. પરંતુ સત્તુના મનમાં આશાનું કિરણ ત્યારે જાગે છે જ્યારે તેને જાણ થાય છે કે કથાનું તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું છે. ચહેરા પર સ્મિત સાથે સત્તુ કથા પ્રત્યેના બિનસ્વાર્થી પ્રેમની કબૂલાત કરવા માટે નીકળી પડે છે. કથાનું બ્રેકઅપ કેમ થયું તે પણ એ જાણવા માગતો નથી. આ એકતરફી લવ સ્ટોરીનો એક નવો અધ્યાય ખુલે છે અને કથાએ મોટું સત્ય છુપાવી રાખેલું હોય છે.

‘સત્યપ્રેમ કી કથા’ તે પ્રકારની ફિલ્મ નથી જે તમે ટ્રેલરમાં જોઈ. આ એક એવી ફિલ્મ છે જે મજબૂત મેસેજ આપે છે. ફિલ્મની સ્ટોરી કેટલીકવાર પાટા પરથી ઉતરી જાય છે પરંતુ મજા કરાવે છે. રાઈટર કરણ શ્રીકાંત શર્માએ સામાન્ય ગુજરાતી પરિવાર અને તેમના વર્લ્ડફેમસ ઢોકળા, ખાખરા અનો ગોટા પર પંચ મારતા ડાયલોગ લખ્યા છે. આ બધાની વચ્ચે ફિલ્મ સોશિયલ મેસેજ આપવા પર બંધાયેલી રહે છે.

કાર્તિક આર્યન ફરીથી સત્તુ નામના સિમ્પલ છોકરાના રોલમાં દિલ જીતી લે છે, જે માને છે કે ‘સાચું બોલતા પહેલા વિચારવું શું કામ’. આ સિવાય તેના ગુજરાતી ઉચ્ચારણો પર સરસ છે. જો કે, કેટલાક સીનમાં તેની એક્ટિંગ અગાઉની ફિલ્મોની જેમ રિપીટ થતી લાગે છે. બીજી તરફ કિયારા અડવાણીએ પણ તેનું પાત્ર ખૂબ જ સુંદર રીતે ભજવ્યું છે, જે તેના અત્યાસુધીના કરિયરમાં બેસ્ટ છે. ડાયરેક્ટર સમીર અને લેખકે ફિલ્મમાં મહિલાઓને અવાજ આપ્યો છે, જ્યાં એક મધ્યમ વર્ગીય અમદાવાદી પરિવારને દર્શાવવામાં આવ્યો છે, જેની મહિલાઓ માત્ર ઘર જ નથી ચલાવતી પરંતુ પુરુષો રૂઢિવાદી માનસિકતાને ન અપનાવે તેની પણ ખાતરી કરે છે. જો કે, ‘આપ પે ઐસી સો બિંડણીયા કુરબાન’ જેવો સત્તુનો ડાયલોગ ફિલ્મના મેસેજથી એકદમ અલગ છે. આવા ડાયલોગની વચ્ચે ગજરાજ રાવ, સુપ્રીયા પાઠક અને સિદ્ધાર્થ રાંદેરિયા તેમના પાત્રથી દર્શકોને મજા કરાવે છે. મનન ભારદ્વાજ અને પાયલ દેવે ફિલ્મમાં સંગીત આપ્યું છે, જે કર્ણપ્રિય છે. સિનેમેટોગ્રાફર અયાનન્કા બોસે અમદાવાદની સુંદરતાને સ્ક્રીન પર દેખાડી છે.

LEAVE A REPLY

one × 1 =