પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમદાવાદ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા આશ્રમરોડ પર આવેલા ઉસ્માાનપુરા વિસ્તારમાં સોમવાર (10 જાન્યુઆરી)ની રાત્રે મોડી સાંજે બે બાઈક પર આવેલા ત્રણ લૂંટારાઓએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂ.14 લાખથી વધુની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

આ ઘટનાનમાં આંગડિયા પેઢીના કર્મચારીને પગમાં ગોળી વાગતા તે લોહી લુહાણ થયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાંચ પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઈનકમટેક્સ વિસ્તારમાં આવેલી એક આંગડિયા પેઢીના કર્મચારી બળવંત રાજપૂત મોડી સાંજ બાદ એક બેગ સાથે અહીં આવ્યા હતા. એ સમયે બે અલગ અલગ બાઈક પર ત્રણ લૂંટારા તેમનો પીછો પીછો કરતા આવી પહોંચ્યા હતા. ત્રણમાંથી એક લૂંટારાએ આગંડિયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કર્યા પછી આગંડિયા પેઢી પાસેની બેગમાં રહેલા વિવિધ પાર્સલ, રૂપિયા 7.50 લાખ કેશ અને રૂપિયા 7 લાખની ચાંદીની બિસ્કીટની લૂંટ ચલાવી ફરાર થયા હતા. આરોપીઓએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આંગડિયા પેઢીનો કર્મચારી જે બેગ લઈને આવ્યો હતો એમાં જીપીએસ ટ્રેકર ફિટ કરેલું હતું. પોલીસે આ જીપીએસની મદદ લઈને લૂંટારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ક્રાઈમ બ્રાંચ પોલીસે ગણતરીના કલાકોમાં આ લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. ક્રાઈમ બ્રાંચે અમદાવાદના સરદારનગર વિસ્તારમાંથી ત્રણેય લૂંટારાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓ પાસેથી મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.