ગુજરાતમાં વર્તમાન ભાજપ સરકારના શાસનમાં છેલ્લા 5 વર્ષમાં સામૂહિક બળાત્કારની 131 ઘટનાઓ બની છે. જેમાં અલગ અલગ પોલીસ કેસમાં 500 આરોપીઓ પકડાયા છે. જ્યારે 18થી વધુ ગુનેગારો આજે પણ પોલીસ પક્કડથી દુર હોવાનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં બળાત્કારની સૌથી વધુ 26 ઘટનાઓ સુરત ગ્રામ્ય, સુરતમાં 8 બની અને અમદાવાદ શહેરમાં 17 સામૂહિક બળાત્કારના બનાવો બન્યા છે.
ગુજરાત વિધાનસભાની આજની કાર્યવાહીમાં ગૃહમાં રજૂ થયેલી અતારાંકિત પ્રશ્નોત્તરીમાં ખંભાળિયા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમએ પ્રશ્ન ઉપસ્થિત કરતા માહિતી માંગી હતી કે, 30 જૂન 2019ની સ્થિતિ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં જિલ્લા વાર કેટલા સામુહિક બળાત્કાર ના બનાવો બન્યા છે ? અને તે પૈકી કેટલા આરોપીઓ પકડવામાં આવ્યા છે.અને હજુ કેટલા આરોપીઓ પોલીસ પક્કડથી દૂર છે?
વિક્રમભાઈ માડમના પ્રશ્નનો લેખિત ઉત્તર આપતા ગૃહ રાજ્યપ્રધાન જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓ માં કુલ 131 સામૂહિક બળાત્કારના ગુના નોંધાયા છે. જે પૈકી પોલીસે 500 આરોપીઓ પકડી પાડ્યા છે. જ્યારે હજુ 18 આરોપીઓ પકડવાના બાકી હોવાનો લેખિત સ્વીકાર કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, શાંતિ સલામતી અને સુરક્ષાના દાવા વચ્ચે વર્તમાન ભાજપ સરકારના કાર્યકાળમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સામુહિક બળાત્કારની સૌથી વધુ 26 ઘટનાઓ સુરત ગ્રામ્ય વિસ્તારમાં બની છે. તો બીજી તરફ સુરત શહેરમાં 8,જ્યારે બીજા ક્રમે અમદાવાદ શહેરમાં 17 સામૂહિક બળાત્કારના બનાવો બન્યા છે. રાજકોટ શહેરમાં 3 બનાવો બન્યા હોવાનો લેખિત સ્વીકાર સરકારે કર્યો છે. ઉપરાંત ત્રીજા ક્રમે ભાવનગર શહેર- જિલ્લામાં 11 બનાવો બન્યા છે.
છેલ્લા પાંચ વર્ષમાં બનેલા અલગ અલગ બનાવોમાં પોલીસે 500 આરોપીઓને પકડયા છે. સૌથી વધુ 85 આરોપીઓ ભાવનગર શહેર અને જિલ્લામાંથી પકડવામાં આવ્યા છે. જ્યારે 73 આરોપીઓ અમદાવાદ શહેર અને જિલ્લામાં બનેલી સામુહિક બળાત્કારની ઘટનાઓ મામલે પકડ્યા છે. જ્યારે રાજકોટ શહેરમાં માં બનેલી ઘટનાઓમાં 9 આરોપીઓ પકડવામાં આવ્યા છે. જો કે રાજ્યમાં બનેલી સામુહિક બળાત્કારની અલગ અલગ ઘટનાઓમાં સંડોવાયેલા 18 આરોપીઓને પકડવાના બાકી હોવાનો લેખિત સ્વીકાર ગુજરાત સરકારે કર્યો છે.