કોરોનાના કેસ કાબૂમાં આવતા માર્ચ 2020થી બંધ પડેલી સ્કૂલો 11 જાન્યુઆરીથી ફરી ખોલવાનો રાજ્ય સરકારે બુધવારે નિર્ણય કર્યો હતો. સરકારની જાહેરાત મુજબ શરુઆતમાં માત્ર ધોરણ 10 અને 12ના વર્ગો શરુ કરાશે. આ ઉપરાંત કોલેજો અને યુનિવર્સિટીમાં પણ છેલ્લા વર્ષના વર્ગો ફરી ચાલુ કરાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વડપણ હેઠળ યોજાયેલી પ્રધાનમંડળની બેઠકમાં આ નિર્ણય કરાયો હતો.

આ નિર્ણય તમામ બોર્ડ તેમજ ગ્રાન્ડેટ, નોન-ગ્રાન્ટેડ સ્કૂલોને આ નિર્ણય લાગુ પડશે. સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે, અન્ય વર્ગોમાં હાલ માસ પ્રમોશન આપવાનો કોઈ વિચાર નથી, અને જેટલો અભ્યાસક્રમ પૂરો થયો છે તેના આધારે પરીક્ષા લેવામાં આવશે.

સ્કૂલ કે કોલેજમાં પોતાના બાળકને મોકલતા પહેલા વાલીએ તેના માટે લેખિત સહમતિ આપવાની રહેશે. સરકાર દ્વારા આ અંગે ટૂંક જ સમયમાં વિગતવાર ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત, શિક્ષણપ્રધાને એવી પણ સ્પષ્ટતા કરી છે કે તમામ સ્કૂલો અને કોલેજોએ વિદ્યાર્થીઓના ટેમ્પ્રેચર લેવાથી લઈને સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ ફરજિયાત માસ્કના નિયમનો અમલ કરાવવાનો રહેશે.

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગાંધીનગરમાં જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ માટે સ્કૂલે આવવાનું ફરજિયાત નથી. જોકે, જે વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર હોય તેમણે લેખિતમાં આ અંગેની મંજૂરી આપવી પડશે. ધોરણ 10-12 સિવાયના અન્ય વર્ગોને પણ આગામી સમયમાં તબક્કાવાર શરુ કરવામાં આવશે તેમ પણ તેમણે કહ્યું હતું. સ્કૂલોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે પ્રકારે બેઠક વ્યવસ્થા કરવાની રહેશે, અને તેની જવાબદારી સ્કૂલના સંચાલકો તેમજ જે-તે અધિકારીઓની રહેશે.

રાજ્ય સરકારે અગાઉ આ વર્ષે બોર્ડની પરીક્ષા મે મહિનામાં યોજવાની જાહેરાત કરી હતી ચુડાસમાએ જણાવ્યું હતું કે, સ્કૂલો ભલે શરુ થાય પરંતુ તેની સાથે ઓનલાઈન એજ્યુકેશન પણ ચાલુ જ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ઘણા સમય પહેલા જ અનલોકની પ્રક્રિયાની ગાઈડલાઈન હેઠળ સ્કૂલો ખોલવાની મંજૂરી આપી દીધી છે.

ગુજરાતમાં નવેમ્બર મહિનામાં દિવાળી વેકેશન બાદ પણ સ્કૂલો શરુ કરવા માટે સરકારે પૂરી તૈયારીઓ કરી લીધી હતી. જોકે, તે વખતે જ કોરોનાના કેસમાં અચાનક જ જોરદાર ઉછાળો આવતા વાલીઓએ સરકારના આ નિર્ણયનો જોરદાર વિરોધ શરુ કર્યો હતો. જેના કારણે, સ્કૂલો ફરી શરુ કરવાની તૈયારીઓ પડતી મૂકવી પડી હતી. આ ઉપરાંત, કોઈ વિદ્યાર્થીને કોરોના થાય તો તેના માટે સ્કૂલ જવાબદાર કે પછી સરકાર જવાબદાર તે અંગે પણ વાલીઓએ સવાલ કરતાં સરકાર તેમજ સંચાલકોએ હાથ અધ્ધર કરી દીધા હતા.