રશિયાના આક્રમણ પગલે યુક્રેનમાં ફસાયેલા ભારતના લોકો અને ખાસ વિદ્યાર્થીઓને દેશમાં પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા નામનું અભિયાન ચાલુ કર્યું છે. અત્યાર સુધી ગુજરાતના આશરે 100 ગુજરાત પરત આવી ગયા છે. બાકી રહેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ઓપરેશન ગંગા હેઠળ કામગીરી કરાઈ રહી છે.

યુક્રેનથી પહોંચ્યા બાદ ગુજરાતના વિદ્યાર્થીઓ સવારે ગાંધીનગર સર્કિટ હાઉસ આવી પહોંચ્યા હતા. આ વિદ્યાર્થીઓનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી દરમિયાન સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત આવવા બદલ શુભેચ્છા પાઠવતા મુખ્યપ્રધાને તેમને યુદ્ધની સ્થિતિમાં પડેલી મુશ્કેલી અંગે પણ વાત કરી હતી.

ગાંધીનગરમાં પહોંચેલા વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતાને જોઈને ભાવુક થઈ ગયા હતા. વિદ્યાર્થીઓ તથા વાલીઓ દ્વારા ઓપરેશન ગંગા સહિત ભારત સરકાર દ્વારા તેમને પૂરી પાડવામાં આવેલી મદદ બદલ આભાર વ્યક્ત કર્યો છે. મીડિયા સાથે કરેલી વાતચીતમાં વિદ્યાર્થીઓએ હજુ પણ યુક્રેન અને પાડોશી દેશની સરહદ પર હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પરત આવવા માટે વલખા મારી રહ્યા હોવાનું જણાવ્યું છે. આ સાથે એવા વીડિયો પણ સામે આવી રહ્યા છે કે બોર્ડર પર સૈનિકો દ્વારા વિદ્યાર્થીઓ પર અમાનવી વર્તન ગુજારવામાં આવી રહ્યો છે.

વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યા બાદ તેમને એક હોલમાં બેસાડીને મુખ્યપ્રધાને તેમની સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન જીતુ વાઘાણી સહિત કેટલાક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. રાજ્ય સરકારના મુખ્ય પ્રવક્તા જીતુ વાઘાણીએ મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે ભારતના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ સાથે જે સંબંધો છે તેના કારણે વિદ્યાર્થીઓને ઝડપથી પરત લાવવામાં મદદ મળી રહી છે. આ સાથે તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે કોંગ્રેસ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે.

અગાઉ શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ શુક્રવારે જણાવ્યું હતું કે રશિયાના આક્રમણને પગલે યુક્રેનમાં ગુજરાતના આશરે 2,500 વિદ્યાર્થીઓ ફસાયા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ફસાયેલા વિદ્યાર્થીને સુરક્ષિત રીતે પરત લાવવા માટે કેન્દ્ર સરકારના સંપર્કમાં છે, એમ શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ શુક્રવારે જણાવ્યું હતું.