હિંમતનગરમાં રવિવાર, 10 એપ્રિલે રામનવમી શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો અને તેનાથી થયેલા તોફાનમાં કેટલીક વાહનોને આગ ચાંપવામાં આવી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. (PTI Photo)

ગુજરાતમાં હિંમતગરમાં 10 એપ્રિલે રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારોને પગલે થયેલી જૂથ અથડામણ બાદ 11 એપ્રિલ એપ્રિલની રાત્રે પણ ફરી તોફાનો થયા હતા. હિંમતનગરના છાપરીયા ગામે નીકળેલી શોભાયાત્રા પર પથ્થમારો બાદ આજંપાભરી શાંતિ જોવા મળી હતી.રાત્રે વણઝારા વાસ અને હસનનગર વિસ્તારમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. બંને વિસ્તારમાં જૂથ દ્વારા સામ સામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હસનનગર વિસ્તારમાંથી પેટ્રોલ ભરેલા બાટલા ફેંકવામાં આવ્યા હતા. આ તોફાનો બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા.રામનવમીના રોજ ભડકેલી હિંસા બાદ પોલીસે અસામાજીક તત્વો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. રવિવારે શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ પોલીસે 30થી પણ વધુ અસામાજીક તત્વોની ધરપકડ કરી હતી. સાથે જ 144ની કલમ પણ લાગૂ કરવામાં આવી હતી.