ભારતે ગુરુવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગાઝા શાંતિ બોર્ડની પ્રથમ બેઠકમાં નિરીક્ષક દેશ તરીકે હાજરી આપી હતી. આ બોર્ડની પ્રથમ બેઠક ડોનાલ્ડ જે. ટ્રમ્પ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસ ખાતે યોજાઈ હતી અને ભારતનું પ્રતિનિધિત્વ વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસના ચાર્જ ડી અફેર્સ નામગ્યા ખંપાએ કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના શાંતિ બોર્ડની પહેલી બેઠકમાં જણાવ્યું હતું કે વિવિધ રાષ્ટ્રોએ ગાઝા પુનર્નિર્માણ ભંડોળમાં $7 બિલિયનનું યોગદાન આપ્યું છે.
ટ્રમ્પે ગાઝા પટ્ટીના પુનર્વિકાસના મૂળ હેતુ સાથે આ બોર્ડની રચના કરેલી છે અને ભારત તેનું સભ્ય બન્યું નથી. ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા બોર્ડને 10 બિલિયન ડોલરનું યોગદાન આપશે. આ બોર્ડના સભ્યોમાં આર્જેન્ટિના, આર્મેનિયા, અઝરબૈજાન, હંગેરી, પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને યુએઈ જેવા 27 દેશોનો સમાવેશ થાય છે.
ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરારના બીજા તબક્કા હેઠળ જાહેર કરાયેલા બોર્ડમાં જોડાવા માટે યુએસ પ્રેસિડન્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના સંખ્યાબંધ વૈશ્વિક નેતાઓને આમંત્રણ આપ્યુ હતું. ૨૨ જાન્યુઆરીએ દાવોસમાં આ બોર્ડને લોન્ચ કરવા માટે યોજાયેલા સમારોહમાં ભારત હાજર રહ્યું ન હતું. ટ્રમ્પના આ બોર્ડમાં યુકે, ફ્રાન્સ, જર્મની, ચીન જેવા મોટા દેશો પણ જોડાયેલા નથી. શાંતિ બોર્ડને યુએનનો હરીફ માનવામાં આવે છે. ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે શાંતિ બોર્ડ યુએનનું સ્થાન લઈ શકે છે, કારણ કે યુએન ક્યારેય તેની ક્ષમતા પ્રમાણે કામ કરી શક્યું નથી.












