પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાત સરકારે શુક્રવારે ગુજરાત લગ્ન નોંધણી ધારા હેઠળ ઘડવામાં આવેલા નિયમોમાં સુધારો કરવાની જાહેરાત કરી હતી. આ સુધારાનો હેતુ માતાપિતાને જાણ કર્યા વગર ભાગીને થતાં પ્રેમલગ્ન અટકાવવાનો છે. નવા નિયમો મુજબ લગ્નની નોંધણી માટે હવે માતાપિતાની મંજૂરી ફરજિયાત બનશે.

નવા નિયમોની જરૂરિયાત પર ભાર મૂકીને વિધાનસભામાં બોલતા નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે નિર્દોષ છોકરીઓને ફસાવવામાં આવી રહી છે અને આવી પ્રથાઓ સમાજમાં ઉંધઈની જેમ ફેલાઈ રહી છે.ઘણા લોકો અને સામાજિક સંગઠનોએ સરકારને પ્રક્રિયાગત છટકબારીઓનો દુરુપયોગ અટકાવવા માટે લગ્ન નોંધણી નિયમોમાં સુધારો કરવાનો અનુરોધ કર્યો છે.

“લવ જેહાદ” તરીકે ઓળખાતા મુદ્દાનો ઉલ્લેખ કરતા સંઘવીએ કહ્યું હતું કે તે સાંસ્કૃતિક આક્રમણ સમાન છે અને ભાજપ સરકાર હવે આ મુદ્દાને અવગણી શકે નહીં. સુધારાનો હેતુ નોંધણી પ્રક્રિયામાં સુરક્ષાને મજબૂત બનાવવાનો છે. સૂચિત સુધારાઓ પર હવે જનતા પાસેથી 30 દિવસ માટે વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે.

/* */

પ્રસ્તાવિત નિયમો મુજબ, દરેક લગ્ન નોંધણી અરજી સહાયક રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાની રહેશે, અરજદારોએ એક ડિક્લેરેશન આપવાનું રહેશે કે કન્યા અને વરરાજાએ તેમના માતાપિતાને લગ્ન વિશે જાણ કરી છે કે નહીં.વધુમાં કન્યા અને વરરાજાએ અરજીમાં તેમના માતાપિતાના નામ, સરનામાં, આધારકાર્ડ અને સંપર્ક વિગતો આપવાની રહેશે.પ્રસ્તાવિત નિયમો અનુસાર, સહાયક રજિસ્ટ્રાર સંતુષ્ટ થાય કે તરત જ કન્યા અને વરરાજાના માતાપિતાને દસ કાર્યકારી દિવસોમાં જાણ કરવામાં આવશે.

સહાયક રજિસ્ટ્રાર અરજીને સંબંધિત જિલ્લા અથવા તાલુકાના રજિસ્ટ્રારને મોકલશે. રજિસ્ટ્રારને ખાતરી થાય કે પેટા-નિયમોમાં ઉલ્લેખિત આવશ્યકતાઓ પૂર્ણ થઈ છે તેના 30 દિવસ પછી લગ્નની નોંધણી કરાશે.પ્રસ્તાવિત નિયમો અનુસાર, રજિસ્ટ્રાર આ બધી વિગતો સરકાર દ્વારા બનાવવામાં આવનાર ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરશે.

 

LEAVE A REPLY