વિઝા
બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાને ભારતથી બાંગ્લાદેશમાં પરત લાવવાની માગણી સાથે જુલાઈ ઓઇક્યા (જુલાઇ એકતા)ના સભ્યોએ ઢાકામાં 17 ડિસેમ્બરે ભારતીય હાઇકમિશન તરફ એક કૂચ કાઢી હતી. REUTERS/Stringer

બાંગ્લાદેશમાં સુરક્ષાની કથળતી જતી સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે બાંગ્લાદેશના રાજશાહી અને ખુલનામાં બે વધુ વિઝા અરજી કેન્દ્રો બંધ કર્યાં હતાં. અગાઉ ભારતે ઢાકા ખાતેનું વિઝા એપ્લિકેશન સેન્ટર બંધ કર્યું હતું અને તેને ગુરુવારે ફરી ચાલુ કર્યું હતું. જુલાઈ ઓઈક્યાના(જુલાઇ એકતા)ના બેનર હેઠળ કટ્ટરપંથી ઇસ્લામવાદીઓના એક જૂથે ભારતીય હાઈ કમિશન પાસે વિરોધ કૂચનું આયોજન કર્યાના એક દિવસ પછી ભારતે આ નિર્ણય કર્યો હતો. કટ્ટરપંથીઓ પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાની ભારતમાંથી બાંગ્લાદેશમાં વાપસી સહિત અનેક માંગણીઓ કરી રહ્યાં છે.

ઇન્ડિયન વિઝા એપ્લિકેશન સેન્ટરની વેબસાઇટ પર જણાવ્યા મુજબ IVAC રાજશાહી અને ખુલના આજે (૧૮.૧૨.૨૦૨૫) બંધ રહેશે. તમામ અરજદારોને પછીની તારીખે વિઝા સ્લોટ આપવામાં આવશે. શેખ હસીના સરકારના પતન પછી બાંગ્લાદેશમાં ભારત વિરોધી માહોલમાં વધારો થઈ રહ્યો છે.

અગાઉ ભારતે રાજધાની ઢાકામાં ભારતીય વિઝા અરજી કેન્દ્ર (IVAC)ને સુરક્ષા કારણોસર બુધવાર, 17 ડિસેમ્બરે બંધ કર્યું હતું. ઢાકામાં જમુના ફ્યુચર પાર્ક ખાતે આવેલ IVAC રાજધાનીમાં તમામ ભારતીય વિઝા સેવાઓ માટેનું મુખ્ય અને સંકલિત કેન્દ્ર હતું. ભારતે બાંગ્લાદેશનના રાજદૂતને સમન્સ કરીને સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

અગાઉ નવી દિલ્હીમાં, વિદેશ મંત્રાલય (MEA)એ બાંગ્લાદેશના રાજદૂત રિયાઝ હમીદુલ્લાહને સમન્સ કર્યા હતા અને ઢાકામાં ભારતીય મિશનની આસપાસ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કેટલાંક કટ્ટરવાદી તત્વોએ મિશન તરફ એક વિરોધ માર્ચ કાઢવાની યોજના જાહેર કર્યા પછી ભારતે આ કાર્યવાહી કરી હતી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “અમે અપેક્ષા રાખીએ છીએ કે વચગાળાની સરકાર તેની રાજદ્વારી જવાબદારીઓને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશમાં ભારતીય મિશન અને પોસ્ટ્સની સુરક્ષા સુનિશ્ચિત કરશે.”

નવી દિલ્હીએ બાંગ્લાદેશમાં બગડતી સુરક્ષા પરિસ્થિતિ પર પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી અને મુક્ત, ન્યાયી અને વિશ્વસનીય સંસદીય ચૂંટણીઓ યોજવા માટે હાકલ કરી હતી. બાંગ્લાદેશમાં ચૂંટણી 12 ફેબ્રુઆરીએ યોજાવાની છે.
ત્રણ દિવસ પહેલા બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ઢાકામાં ભારતીય રાજદૂત પ્રણય વર્માને બોલાવ્યા હતાં અને ભારતીય ભૂમિ પરથી ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના “ઉશ્કેરણીજનક” નિવેદનો પર પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY