બેંક ઓફ ઈંગ્લેન્ડે
(istockphoto.com)

બેંક ઓફ ઈંગ્લેન્ડે યુકેના વ્યાજ દરમાં એક ક્વાર્ટર ટકાનો એટલે કે 4 ટકાથી ઘટાડો કરીને 3.75 ટકા કર્યા છે, જે ફેબ્રુઆરી 2023 પછીનો સૌથી નીચો સ્તર છે. પેલીસીમેકર્સ ફુગાવાને નિયંત્રણમાં રાખીને સ્થિર અર્થતંત્રને ટેકો આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ નિર્ણય ખૂબ જ સંતુલિત હતો, મોનેટરી પોલિસી કમિટી (MPC) એ કટની તરફેણમાં 5-4 મત આપ્યા હતા, જે ઉધાર ખર્ચમાં કેટલી ઝડપથી ઘટાડો થવો જોઈએ તે અંગેના વિભાજનને રેખાંકિત કરે છે. તાજેતરના વર્ષોમાં વધતા ફુગાવાને પહોંચી વળવા માટે અપનાવવામાં આવેલા પ્રતિબંધક વલણથી સાવધ રહેવા માટે બેંકે જે પગલું વર્ણવ્યું છે તેમાં આ નવીનતમ પગલું છે.

આ જાહેરાત પછી બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રુ બેઈલીએ જણાવ્યું હતું કે પેલીસીમેકર્સ હજુ પણ માને છે કે વ્યાજ દર “ધીમે ધીમે નીચે તરફ” જઈ રહ્યા છે. પરંતુ તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે ભવિષ્યમાં ઘટાડાને વાજબી ઠેરવવો મુશ્કેલ બનશે. તેમણે વેતન અને સેવાઓના ફુગાવામાં સતત દબાણ તરફ ઈશારો કર્યો હતો.

બેંકની નવીનતમ આગાહીઓ અર્થતંત્રનું એક મંદ ચિત્ર દર્શાવે છે. અધિકારીઓ હવે આ વર્ષના અંતમાં કોઈ આર્થિક વૃદ્ધિની અપેક્ષા રાખતા નથી, જે નબળા ગ્રાહક ખર્ચ અને નાજુક બિઝનેસ કોન્ફીડન્સને પ્રતિબિંબિત કરે છે. જોકે, ફુગાવાના અંદાજમાં સુધારો થયો છે, ભાવોની વૃદ્ધિ હવે અગાઉના અંદાજ કરતાં 2 ટકા લક્ષ્યની નજીક આવવાની ધારણા છે, જેનાથી પોલીસીમેકર્સ પર દબાણ ઓછું થશે.

સરકાર વતી આ ઘટાડાને આવકારતા ચાન્સેલર રોચલ રીવ્સે કહ્યું હતું કે “મોરગેજ ધરાવતા પરિવારો અને લોન ધરાવતા બિઝનેસીસ માટે સારા સમાચાર છે. ઉધારીના ઓછા ખર્ચથી ઘરગથ્થુ નાણાકીય બાબતો પર દબાણ ઓછું કરવામાં મદદ મળી શકે છે. જોકે, વૃદ્ધિને પુનઃસ્થાપિત કરવા અને જીવનધોરણ સુધારવા માટે ઘણું વધુ કરવાનું બાકી છે.”

વ્યાજના નીચા દરો ટ્રેકર અને વેરિએબલ મોરગેજ પર ઘરમાલિકોને થોડી રાહત આપે તેવી શક્યતા છે, જ્યારે નવા ફિક્સ્ડ-રેટ મોરગેજ ડીલ્સ પણ નીચા થઈ શકે છે. તે જ સમયે, બચત કરતા લોકોને તેમની બચત પર ઓછું વળતર મળી શકે છે, જે વ્યાજની આવક પર નિર્ભર લોકો પર દબાણ લંબાવશે.

ઘણા લોકો માને છે કે બેંક ધીમે ધીમે આગળ વધશે અને જો ફુગાવો ઓછો થતો રહેશે અને લેબર માર્કેટ ઠંડુ થશે તો આગામી વર્ષમાં એક કે બે વધુ કાપ શક્ય છે.

LEAVE A REPLY