ભારતમાં છેલ્લા બે મહિનાથી લોકડાઉન હોવા છતા પણ કોરોના વાયરસના સંક્રમણનો આંકડો દોઢ લાખની પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શુક્રવારના રોજ સવાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ 165799 કેસ નોંધાયા છે જેમાંથી 71106 લોકો એવા છે કે જેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે.

છેલ્લા 24 કલાકમાં 175 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 4706 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શુક્રવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 89987 એક્ટિવ કેસ છે.

જોકે એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી દર 42.88 ટકા સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 7466 નવા કેસ સાથે દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણનો આંકડો 165799 સુધી પહોંચી ગયો છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 3414 લોકો કોરોના સંક્રમણને મહાત આપીને સ્વસ્થ થવામાં સફળ રહ્યા છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 59546 કેસ નોંધાયા છે જ્યારે 1982 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 19372 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 145 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં 16281 કેસ નોંધાયા છે જ્યારે 316 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં 16281 લોકો સંક્રમણમાં આવ્યા છે જેમાંથી 960 લોકોના મોત થયા છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 5809359 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 360303 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 2416146 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 3032910 કેસ એક્ટિવ છે. ભારત દેશમાં સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં નવમાં ક્રમાંક પર પહોંચી ગયો છે. જ્યારે સ્વસ્થ્ય થયેલા દર્દીઓની યાદીમાં ભારત અમેરિકા, બ્રાઝીલ, જર્મની, રશિયા, ઈટાલી, તુર્કી, ઈરાન અને ચીન બાદ 10માં ક્રમ પર છે.