ભારતમાં 2019ની સરખામણીમાં 2020માં માર્ગ અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. કુલ અકસ્માતોમાં સરેરાશ 18.46 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે મૃત્યુ મૃતકોની સંખ્યામાં 12.84 ટકાનો ઘટાડો થયો છે અને ઇજાગ્રસ્તોની સંખ્યામાં ગત વર્ષની સરેરાશ કરતાં 22.84 ટકાનો ઘટાડો થયો છે. 2020 દરમિયાન દેશભરમાં કુલ 3,66,138 માર્ગ અકસ્માતો નોંધાયા છે, જેમાં 1,31,714 લોકોનાં મોત થયા છે અને 3,48,279 લોકો ઘાયલ થયા છે.
માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય (MoRTH)ની ટ્રાન્સપોર્ટ રીસર્ચ વિંગ (TRW) દ્વારા તૈયાર કરાયેલા અહેવાલ ‘ભારતમાં માર્ગ અકસ્માતો – 2020’ મુજબ 2018માં 0.46 ટકાના નજીવા વધારા સિવાય 2016થી માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. સતત બીજા વર્ષે, 2020માં માર્ગ અકસ્માતમાં મૃતકોની કુલ સંખ્યામાં ઘટાડો થયો છે. તેવી જ રીતે, 2015થી ઘાયલ વ્યક્તિઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.
અહેવાલ મુજબ, જીવલેણ અકસ્માતોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે, એટલે કે અકસ્માતમાં ઓછામાં ઓછા એક મૃત્યુનો સમાવેશ થાય છે. 2020માં કુલ 1,20,806 જીવલેણ અકસ્માતો નોંધાયા હતા, જે 2019ના 1,37,689ના આંકડા કરતાં 12.23 ટકા ઓછા છે. રસપ્રદ વાત એ છે કે, 2020 દરમિયાન, રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રાજ્ય ધોરીમાર્ગો અને અન્ય માર્ગો પર અગાઉના વર્ષની સરખામણીમાં ઓછા અકસ્માતો, જાનહાનિ અને ઈજાઓ નોંધાઈ હતી.
2020 માં માર્ગ અકસ્માતમાં નોંધપાત્ર ઘટાડો હાંસલ કરનારા મુખ્ય રાજ્યોમાં કેરળ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક છે. અને 2020માં માર્ગ અકસ્માતમાં મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો હાંસલ કરનારા મુખ્ય રાજ્યોમાં તમિલનાડુ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને આંધ્રપ્રદેશ છે.