વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 18 જૂને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીતમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન પરના હુમલાઓને ઇસ્લામાબાદની વિનંતીને કારણે રોકી દીધા હતાં. ભારતે અમેરિકાની મધ્યસ્થી કે વેપાર સોદાની ઓફરને કારણે હુમલા અટકાવ્યા ન હતાં.
ટ્રમ્પ સાથે ૩૫ મિનિટની ફોન વાતચીતમાં, મોદીએ પાકિસ્તાનમાં આતંકવાદી સ્થળો વિરુદ્ધ ભારત દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર વિશે અમેરિકન પ્રેસિડન્ટને માહિતી આપી અને સ્પષ્ટ કર્યું હતું કે ભારતે ક્યારેય કોઈ તૃતીય પક્ષની મધ્યસ્થી સ્વીકારી નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય સ્વીકારશે નહીં.
ગયા મહિને ઓપરેશન સિંદૂર શરૂ થયા પછી ટ્રમ્પ અને મોદી વચ્ચે આ પહેલી વાતચીત હતી. 22 એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલા પછી બંને નેતાઓએ વાતચીત થઈ હતી. તે સમયે ટ્રમ્પે આતંકવાદ સામેની લડાઈમાં ભારત ટેકો આપ્યો હતો.
બંને નેતાઓની વાતચીત પછી ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “પીએમ મોદીએ સ્પષ્ટતા કરી હતી કે ઓપરેશન સિંદૂરના સંદર્ભમાં વેપાર સંબંધિત કોઈ પણ વિષય પર ચર્ચા થઈ નથી. ભારતે ક્યારેય તૃતીય પક્ષની મધ્યસ્થી સ્વીકારી નથી અને આવી મધ્યસ્થી સ્વીકારશે નહીં. ટ્રમ્પે G7 સમિટમાં હાજરી આપવા માટે આવેલા મોદીને કેનેડાથી પરત ફરતી વખતે અમેરિકાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. જોકે મોદીએ કહ્યું કે તેઓ પહેલાથી નક્કી થયેલા સમયપત્રકને કારણે આ આમંત્રણ સ્વીકારી શકતા નથી.
ક્વાડ સમિટ માટે ભારત આવવા ટ્રમ્પને મોદીનું આમંત્રણ
મોદીએ ટ્રમ્પને આ વર્ષના અંતમાં યોજાનારી ક્વાડ સમિટ માટે ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંધર્ષ વચ્ચે ટ્રમ્પ G7 બેઠક અધવચ્ચે જ છોડી ગયા હતાં.
મિસરીએ જણાવ્યું હતું કે મોદી અને ટ્રમ્પ G-7 બેઠક દરમિયાન મળવાના હતાં, પરંતુ અમેરિકન પ્રેસિડન્ટ વહેલા જતા રહેતાં તે સફળ થઈ શક્યું નહીં .ટ્રમ્પે મોદી સાથે વાતચીત કરવાનો આગ્રહ રાખ્યો ત્યારબાદ ફોન પર વાતચીત થઈ હતી.
અગાઉ ટ્રમ્પે વારંવાર દાવો કર્યો હતો કે તેમને ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો છે. ભારતે આ દાવાને ફગાવી દીધો હતો.
મોદીએ ટ્રમ્પને એમ પણ કહ્યું કે પાકિસ્તાન તરફથી આવતી ગોળીઓનો જવાબ તોપના ગોળાથી આપવામાં આવશે. 9 મેની રાત્રે મોદીને અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે ડી વાન્સનો ફોન આવ્યો હતો, જેમાં તેમને પાકિસ્તાન દ્વારા “મોટા હુમલા” વિશે ચેતવણી આપવામાં આવી હતી.
