ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સોમવારે ઉડાન ભરનારા એક્સિઓમ મિશન 4 (એક્સ-4)નું સંચાલન એક ભારતીય પાયલટ દ્વારા કરવામાં આવશે અને તે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) તરફ પ્રયાણ કરશે. ઇન્ડિયન એરફોર્સના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લનો એક્સ-4ના વિવિધ દેશોના ચાર સભ્યોના ક્રૂમાં સમાવેશ થાય છે, જેઓ ISS ખાતે બે અઠવાડિયા રહેશે. 10 જુને સ્થાનિક સમય મુજબ સવારે 8.22 કલાકે ઉડાન ભરનારી આ ફ્લાઇટથી ભારતમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે, કારણ કે ગ્રુપ કેપ્ટન શુક્લ અવકાશમાં મુસાફરી કરનાર બીજા અને ISSની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય હશે. 1984માં અવકાશયાત્રી રાકેશ શર્મા રશિયન સોયુઝમાં અવકાશમાં જનારા પ્રથમ ભારતીય બન્યાના 41 વર્ષ પછી આ ઘટના બની રહી છે. રાકેશ શર્મા ત્યાં આઠેક દિવસ રોકાયા હતા. એક્સ-4નું નેતૃત્વ નાસાના ભૂતપૂર્વ અવકાશયાત્રી પેગી વ્હિટસન કરી રહ્યા છે, તેઓ અનુભવી અવકાશયાત્રી છે, જે અગાઉ બે વાર ISSના કમાન્ડર રહ્યા હતા. તેઓ અવકાશમાં સેંકડો દિવસ રહ્યા હતા અને અને 10 વખત અવકાશમાં ચાલ્યા હતા. આ સફરમાં પોલેન્ડ અને હંગેરીના બે અવકાશયાત્રીઓ પણ જોડાશે. તેઓ પણ ભારતીય અવકાશયાત્રીની જેમ ચાર દસકા કરતાં વધુ સમય પછી તેમના દેશોને ફરીથી અવકાશમાં લઈ જશે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ યાત્રામાં પાયલટની ભૂમિકા મુખ્ય છે, કારણ કે તે મિશન કમાન્ડરના સેકન્ડ-ઇન-કમાન્ડ તરીકે સેવા આપશે, લોન્ચ, ડોકીંગ, અનડોકીંગ અને ધરતી પર પરત આવતી વેળાએ સ્પેસક્રાફ્ટના સંચાલનમાં મદદ કરશે.

LEAVE A REPLY