ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં સોમવારે બે નવી ટીમો ઉમેરાઈ ગઈ છે. જેમાં એક ટીમ અમદાવાદ અને એક લખનૌના ફાળે ગઈ છે. સીવીસી કેપિટલ પાર્ટનર્સને અમદાવાદ ફ્રેન્ચાઈઝી મળી છે, જ્યારે લખનૌ ફ્રેન્ચાઈઝી સંજીવ ગોયેન્કાની માલિકીના આરપીએસજી ગ્રુપના ફાળે ગઈ છે. સોમવારે દુબઇની તાજ હોટેલમાં આ ટીમોની હરાજી કરવામાં આવી હતી. એએનઆઇના અહેવાલ મુજબ બીસીસીઆઇના અધિકારીએ આ અંગે પુષ્ટી આપી છે.

મહત્વની વાત એ છે કે અમદાવાદની ફ્રેન્ચાઈઝી માટે અદાણ ગ્રુપની પ્રબળ દાવેદારી હતી, પરંતુ સીવીસી કેપિટલ પાર્ટનર્સના ફાળે ગઈ છે.

આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપે લખનૌની ટીમને 7,090 કરોડ રૂપિયામાં ખરીદી હોવાનું માનવામાં આવે છે, જ્યારે CVC કેપિટલે 5,166 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમ ખરીદી હોવાના અહેવાલ છે. આ બન્ને ટીમ વર્ષ 2022માં યોજાનારી IPLની ઈન્ડિયન પ્રિમિયર લીગનો ભાગ બનશે.

હાલમાં ઈન્ડિયન પ્રિમિયર લીગમાં કુલ 8 ટીમ ભાગ લઈ રહી છે. તેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CKS), દિલ્હી કેપિટલ્સ (DC),કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR), મુંબઈ ઈન્ડિયન્સ (MI),પંજાબ કિંગ્સ (PBKS),રાજસ્થાન રોયલ્સ (RR), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), અને સન રાઈઝર્સ હૈદરાબાદ (SRH)નો સમાવેશ થાય છે.