ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે 12 જૂને ચાલુ થયેલા હવાઇ હુમલા પછી ઓપરેશન સિંધુ હાથ ધરીને ભારત સરકારે રવિવાર, 22 જૂન સુધી કુલ 827 ભારતીયોને પરત લાવી હતી. શુક્રવારની રાત્રે અને શનિવારે વહેલી સવારે વિદ્યાર્થીઓ સહિતના વધુ ભારતીયોને ફ્લાઇટ્સ મારફત નવી દિલ્હી લાવવામાં આવ્યાં હતાં. ઇરાને 1,000 ભારતીયોની સુરક્ષિત વાપસી માટે એરસ્પેસ ખોલી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે 290 વિદ્યાર્થીઓ અને ધાર્મિક યાત્રાળુઓ સાથેની એક ચાર્ટર ફ્લાઇટ 20 જૂને નવી દિલ્હી આવી પહોંચી હતી. બીજી ફ્લાઇટ 21 જૂને વહેલી સવારે તુર્કમેનિસ્તાનના અશ્ગાબાતમાંથી દિલ્હી પહોંચી હતી. આની સાથે કુલ 517 ભારતીયોને પરત લવાયા છે. અગાઉ ગુરુવારે 110 ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવામાં આવ્યાં હતાં. ભારતીયોની સુરક્ષિત વાપસી માટેની સુવિધા આપવા માટે ભારતે ઇરાનનો આભાર પણ માન્યો હતો.
એક ખાસ સંકેત તરીકે ઇરાને આશરે 1,000 ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે તેની એરસ્પેસ પરના નિયંત્રણો હટાવી લીધાં હતાં. ઈરાનના શહેર મશાદથી લગભગ 1,000 ભારતીય નાગરિકો ત્રણ ચાર્ટર ફ્લાઇટ્સ મારફત સુરક્ષિત બહાર કાઢવા ઇરાનને આ સુવિધા કરી આપી હતી.
ઈરાની દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન મોહમ્મદ જાવદ હુસેનીએ જણાવ્યું હતું કે જો જરૂર પડશે ભારતીયોને સુરક્ષિત પરત લાવવા માટે આગામી દિવસોમાં ફ્લાઇટ્સનું ઉડાન ભરી શકાય છે. ઈરાન પર ઈઝરાયલી હુમલા બાદ ભારતીય નાગરિકોને તેહરાનથી મશદ ખસેડવામાં આવ્યા હતાં. ઈરાની એરલાઈન મહાન દ્વારા સંચાલિત આ ફ્લાઇટ્સની વ્યવસ્થા ભારતે કરી હતી.
હુસેનીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે અમે ભારતીયોને અમારા પોતાના લોકો માનીએ છીએ. ઈરાનનું હવાઈ ક્ષેત્ર બંધ છે, પરંતુ આ મુદ્દાને કારણે અમે ભારતીય નાગરિકોને સુરક્ષિત માર્ગ આપવા માટે તેને ખોલવાની વ્યવસ્થા કરી છે. તેહરાનથી કોમ અને પછી મશાદ ખસેડવામાં આવેલા લગભગ 1,000 ભારતીયોને ત્રણ ચાર્ટર ફ્લાઇટમાં નવી દિલ્હી લાવવામાં આવશે. પહેલી ફ્લાઇટ આજે રાત્રે નવી દિલ્હી એરપોર્ટ પર ઉતરશે અને શનિવારે વધુ બે ફ્લાઇટ્સ આવશે
