(ANI Photo)
શેખર સુમનના મોટા પુત્ર આયુષનું 11 વર્ષની ઉંમરે 1995માં અવસાન થયું હતું. તેને કોઈ દુર્લભ બીમારી હતી. આ બીમારી સામે તેણે ચાર વર્ષ સુધી સંઘર્ષ કર્યો હતો. પુત્રની સારવાર માટે શેખર સુમને અનેક ડોક્ટર્સને પણ મળ્યા હતા. આમ છતાં આયુષ બચી શક્યો નહીં.
આથી શેખર સુમનનો ભગવાન પરથી વિશ્વાસ ઊઠી ગયો હતો. આજે પણ પુત્રને યાદ કરીને શેખર સુમન લાગણીશીલ બની જાય છે. પુત્ર સાથે પસાર કરેલા અંતિમ સમયને યાદ કરતાં શેખર સુમન કહે છે, ‘ચમત્કાર નથી થતા. એક દિવસની વાત છે. એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો અને આયુષની તબિયત ઠીક નહોતી.
દિગ્દર્શકને પણ મારા બાળકની ગંભીર સ્થિતિની જાણ હતી. આમ છતાં તેણે મને બે-ત્રણ કલાક માટે શૂટ પર આવવાની વિનંતી કરી હતી. મેં ના કહી તો તેણે કહ્યું કે ‘પ્લીઝ આવી જાઓ, નહીં તો મને ખૂબ મોટું નુકસાન થશે.’ હું જવા માટે તૈયાર થઈ ગયો. હું ઘરેથી જ્યારે નીકળી રહ્યો હતો ત્યારે આયુષે મારો હાથ પકડીને કહ્યું કે ‘પાપા પ્લીઝ આજે ન જાવ.’ મેં તેને વચન આપ્યું કે હું ઝડપથી પાછો આવી જઈશ. એ ક્ષણને તો હું આજ સુધી નથી ભૂલ્યો.’
પુત્રના અવસાન પછી તેને ભગવાન પરથી વિશ્વાસ ઊઠી ગયો હતો. શેખર કહે છે કે, ‘ઘરમાંથી તમામ મૂર્તિઓ બહાર કાઢવામાં આવી હતી. મંદિર પણ બંધ કરવામાં આવ્યું હતું. ભગવાને મને આટલું દર્દ આપ્યું છે એથી હું હવે કદી પણ ભગવાનને નહીં માનું. તેમણે એક સુંદર, નિર્દોષ બાળકને છીનવી લીધો છે.’