ઈટાલી માટે ગઈ કાલનો શુક્રવાર કોઈ ‘બ્લેક ફ્રાઈડે’થી ઉતરતો નહતો. ફક્ત એક જ દિવસ એટલે કે 24 કલાકની અંદર ઈટાલીમાં 250 લોકોના મોત નિપજ્યા છે. આશ્ચર્ય પમાડનારી વાત તો એ છે કે શુક્રવારે કોરોના વાયરસન કારણે દુનિયાભરમાં સૌથી વધારે લોકોએ ઈટાલીમાં અંતિમ શ્વસ ભર્યા હતા. શુક્રવારના રોજ ચીન કરતા પણ વધારે મોત ઈટાલીમાં નિપજ્યા છે.

ચીનના વુહાનમાંથી કોરોના વાયરસનો ઉદ્ભવ થયો હતો અને ત્યાં જ આ વાયરસે સૌથી પ્રચંડ તારાજી સર્જી હતી, પરંતુ હવે ઈટાલીની પરરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે જાણે ઈટાલી, ઈટાલી નહીં રહને વુહાન થઈ ગયું હોય. પહેલા કોરોનાનું કેન્દ્ર ચીન હતું, પરંતુ હવે યુરોપ તેનું કેન્દ્ર બની ગયું છે.

ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની લપેટમાં આવેલા 18 લોકોના મોત નિપજતા મૃત્યુઆંક વધીને 79 સુધી પહોંચ ગયો છે. યુરોપમાં ઈટાલી ઉપરાંત સ્પેનમાં 122 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 4334 લોકો સંક્રમિત મળી આ‌વ્યા છે. યુકેમાં કોરોનાના કારણે 10 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 798 લોકો સંક્રમિત છે. આ ઉપરાંત જર્મનીમાં આઠ લોકોના મોત નિપજ્યા છે જ્યારે આશરે 3675 લોકો કોરોના વાયરસની લપેટમાં આ‌વી ચૂક્યા છે.

કોરોના વાયરસની બિમારીને પ્રસરતી અટકાવવા માટે ઈટાલીના રોમમાં આવેલા કેથોલિક ચર્ચો બંધ કરી દેવામાં આવ્યા છે. આ બિમારીને કારણે ઈટાલીમાં 1266 લોકોના મોત થયાં છે. ઈટાલીમાં 17660 લોકો કોરોનાની લપેટમાં આવી ચૂક્યા છે જેમાં શુક્રવારના રોજ 2547 લોકોનો વધારો નોંધાયો છે.

રોમ કેથોલિક ચર્ચાના કાર્ડિનલ એન્જેલો ડી ડોનાટિસે એક નિવેદનમાં કહ્યું છે કે, 3 એપ્રિલ સુધી ચર્ચો બંધ રાખવામાં આવશે અને અનુયાયીઓને રવિવારની પ્રાર્થના કરવાથી મુક્ત કરવામાં આવે છે. 3 એપ્રિલ પછી ચર્ચોને ફરીથી ખોલવામાં આવશે. ચીન પછી ઈટાલીમાં કોરોના વાયરસની અસર ગંભીર છે. એટલે ઈટાલીમાં તમામ લગ્ન સમારોહ તથા અંતિમ સંસ્કાર જેવી સામુહિક વિધિઓ પણ બંધ કરી દેવાની ફરજ પડી છે. પરંતુ ઈટાલીમાં કેટલાક ચર્ચો ત્યાં સુધી ખુલ્લા રહેશે, જ્યાં સુધી કોરોના વાયરસ સંદર્ભે અપાયેલા નિયમોનું પાલન કરવામાં આવે છે.