(PTI Photo)

કોરોના મહામારી વચ્ચે અમદાવાદ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા યોજાશે કે નહીં તે અંગે હજુ સરકારે નિર્ણય જાહેર કર્યો નથી, પરંતુ આ વચ્ચે રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રથયાત્રા પહેલા ગુરુવારે જળયાત્રા યોજાઈ હતી.

5 કળશ, 5 ધ્વજ પતાકા સાથે જગન્નાથ મંદિરેથી નીકલેળી યાત્રા જમાલપુરમાં સાબરમતી નદીમાંથી જળ ભરી લાવવામાં આવ્યું હતું. આ વખતે માત્ર એક ગજરાજ જ સાબરમતી નદીના આરે ગયા હતા. અન્ય ગજરાજો મંદિરના પ્રાંગણમાં ઉભા રહ્યાં હતા. દર વર્ષે 108 કળશમાં પાણી ભરી વાજતેગાજતે જળયાત્રા યોજાય છે, પરંતુ કોરોના મહામારીને કારણે જળયાત્રા સાદાઈથી ઓછા લોકો અને ભક્તો વિના યોજાઇ હતી.

આ જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. કોરોના મહામારીને કારણે આ વખતે જળયાત્રામાં મર્યાદિત લોકો જ હાજર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગયા વર્ષે પણ કોરોનાને કારણે જળયાત્રા અને રથયાત્રા વખતે મંદિરમાં મર્યાદિત લોકો હાજર રહ્યા હતા.

મંદિરના મહંત દિલીપદાસજીએ જળયાત્રા અંગે જણાવતા કહ્યું કે રથયાત્રા પહેલા જેઠ મહિનાની પૂનમના દિવસે જળયાત્રા મહોત્સવ યોજાતો હોય છે. આ દિવસે પરંપરા એવી છે કે ગંગા નદીનું પાણી લાવી તેનાથી ભગવાનનો અભિષેક કરવામાં આવતો હોય છે. ભગવાનનો અભિષેક થયા બાદ ભગવાન ગજવેશ ધારણ કરે છે અને બપોર બાદ મામાના ઘરે જાય છે. કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે 50થી ઓછા લોકો હાજર રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીને ધ્યાને રાખીને હજુ સુધી રથ યાત્રા યોજવા અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. જોકે અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથ યાત્રાને લઈને તમામ તૈયારીઓ શરું કરી દેવામાં આવી છે જેથી મંજૂરી મળે તો ભગવાનની રથયાત્રા પૂર્ણ વ્યવસ્થા સાથે કાઢી શકાય. પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર રિહર્સલ પણ કરવામાં આવ્યું છે.