AAP ધારાસભ્યો બુધવારે પીળા ટી-શર્ટ અને 'કેજરીવાલ'ના માસ્ક પહેરીને દિલ્હી વિધાનસભામાં એક દિવસીય સત્રમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતાં(ANI Photo)

શરાબ નીતિ કૌભાંડમાં કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીની કસ્ટડીમાં રહેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને બુધવારે દિલ્હી હાઇકોર્ટમાંથી કોઇ તાત્કાલિક રાહત મળી ન હતી. ઇડી દ્વારા ધરપકડના મુદ્દે કોઇ દરમિયાનગીરી કરવાનો હાઇકોર્ટે ઇનકાર કર્યો હતો. બીજી તરફ કેજરીવાલના પત્ની સુનીતાએ દાવો કર્યો હતો કે તેમના પતિ ગુરુવારે કોર્ટમાં કથિત એક્સાઇઝ નીતિ કૌભાંડ પર ‘મોટો ધડાકો કરશે.

જોકે કોર્ટે ધરપકડને પડકારતી અરવિંદ કેજરીવાલની અરજી પર ઇડીને નોટિસ આપી હતી અને બે એપ્રિલ પહેલા વચગાળાની રાહત સહિતના મુદ્દે જવાબ આપવા ઇડીને તાકીદ કરી હતી. ન્યાયાધીશે તેમના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું આ મામલે 3 એપ્રિલે અંતિમ સુનાવણી કરાશે અને સુનાવણી મુલતવી રાખવામાં આવશે નહીં.

હવે કેજરીવાલને તેમના ED કસ્ટોડિયલ રિમાન્ડના પૂરા થયા પછી દિલ્હીની કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. તેમની પત્નીએ બુધવારે એવો પણ દાવો કર્યો હતો કે કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા પાડવામાં આવેલા અનેક દરોડામાં એક પૈસો પણ મળ્યો નથી.

કેજરીવાલના પત્ની સુનીતાએ ડિજિટલ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે તેમના પતિ ગુરુવારે કોર્ટમાં કથિત દારૂ કૌભાંડની વિગતો જાહેર કરશે અને પુરાવા પણ રજૂ કરશે. તેઓ કેજરીવાલને EDની કસ્ટડીમાં મળ્યાં ત્યારે કેજરીવાલે જણાવ્યું હતું કે કેન્દ્રીય એજન્સીએ છેલ્લા બે વર્ષમાં “કહેવાતા દારૂ કૌભાંડ”ના સંબંધમાં 250થી વધુ દરોડા પાડ્યા છે, પરંતુ એક પૈસા પણ મળ્યા નથી. EDએ મનીષ સિસોદિયા, સંજય સિંહ અને સત્યેન્દ્ર જૈનના સ્થળો પર દરોડા પાડ્યા હતાં, પરંતુ પૈસા મળ્યા ન હતાં. તેઓએ અમારા (CM નિવાસસ્થાન) સ્થાને દરોડો પાડ્યો હતો અને માત્ર રૂ.73,000 મળ્યાં હતાં.
બીજી તરફ AAP અને BJP બંને દ્વારા વિરોધી દેખાવો ચાલુ રહ્યાં હતાં. બંને પાર્ટીએ એકબીજા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં. ભાજપના નેતાઓ અને કાર્યકરોએ કેજરીવાલના રાજીનામાની માંગણી સાથે દિલ્હી વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જ્યારે AAP ધારાસભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં. ભાજપના ધારાસભ્યોએ પ્લેકાર્ડ સાથે માર્ચ પણ કાઢી હતી. વિપક્ષના નેતા રામવીર સિંહ બિધુરીએ કહ્યું કે કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેવું જોઈએ.

બીજી તરફ AAP ધારાસભ્યો બુધવારે પીળા ટી-શર્ટ અને ‘કેજરીવાલ’ના માસ્ક પહેરીને દિલ્હી વિધાનસભામાં એક દિવસીય સત્રમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતાં. પીળા ટી-શર્ટ પર ‘મૈ ભી કેજરીવાલ’ અને ‘મોદી કા સબસે બડા ડર કેજરીવાલ’ જેવા સૂત્રો હતો. વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાંની સાથે AAP ધારાસભ્યો કેન્દ્ર વિરુદ્ધ મુર્દાબાદના નારા લગાવ્યા હતાં અને કેજરીવાલની મુક્તિની માંગ કરતા ગૃહના મધ્યમાં ધસી આવ્યાં હતાં. સૂત્રોચ્ચાર વચ્ચે ગૃહની કાર્યવાહી પહેલી એપ્રિલ સુધી સ્થગિત કરાઈ હતી.

LEAVE A REPLY

4 − two =