(ANI Photo/Doordarshan Sports-X)

ભારતના સ્પોર્ટસ મંત્રાલયે ઓલિમ્પિકસની ડબલ મેડાલિસ્ટ શૂટર મનુ ભાકેર અને ચેસ વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓનું મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માન કરવાની ગુરુવારે જાહેરાત કરી હતી. 32 ખેલાડીઓને અર્જુન પુરસ્કારોની પણ જાહેરાત કરાઈ હતી, જેમાં પેરિસ પેરાલિમ્પિક્સમાં સફળતા બદલ અભૂતપૂર્વ 17 પેરા-એથ્લેટ્સનું નામ છે.

2024 માટે અન્ય બે ખેલ રત્ન એવોર્ડ વિજેતાઓમાં પુરૂષ હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરા-એથ્લેટ પ્રવીણ કુમારનો સમાવેશ થાય છે. 17 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ખેલાડીઓને એવોર્ડ એનાયત કરશે.

22 વર્ષની મનુ ભાકેર એક જ ઓલિમ્પિક્સમાં બે મેડલ હાંસલ કરનારી ભારતની પ્રથમ એથ્લીટ છે. 18 વર્ષનો ગુકેશ સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યો હતો. તેને ગયા વર્ષે ચેસ ઓલિમ્પિયાડમાં ભારતીય ટીમને ઐતિહાસિક ગોલ્ડ અપાવવામાં પણ પ્રદાન કર્યું હતું. પેરા હાઈજમ્પર પ્રવીણ પેરિસ પેરાલિમ્પિક્સમાં T64 ચેમ્પિયન રહ્યો હતો.
ખેલ રત્ન પુરસ્કાર મેળવનારને પ્રશસ્તિપત્ર અને મેડલ સાથે રૂ. 25 લાખ રોકડ પુરસ્કાર અપાય છે. અર્જુન પુરસ્કાર વિજેતાઓને 15 લાખ રૂપિયા રોકડ પુરસ્કાર, અર્જુનની પ્રતિમા અને પ્રશસ્તિપત્ર મળે છે.

LEAVE A REPLY