યુકે અને ભારત સામાન્ય ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે ત્યારે યુકેની વિપક્ષી લેબર પાર્ટીના શેડો ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એન્જેલા રેનર, બ્રિટિશ ભારતીય સંસદ સભ્ય નવેન્દુ મિશ્રા અને કાઉન્સિલર વિમલ ચોક્સીએ ભારતના ત્રણ શહેરો નવી દિલ્હી, અમદાવાદ અને આગ્રાની મુલાકાત લીધી હતી.

લેબર પાર્ટીએ જણાવ્યું હતું કે ડાયસ્પોરા ગ્રુપ લેબર કન્વેન્શન ઓફ ઈન્ડિયન ઓર્ગેનાઈઝેશન્સ (LCIO) દ્વારા આયોજીત આ મુલાકાતનો ઉદ્દેશ્ય શ્રમ અને ભારતીય વેપાર, વિશ્વાસ, સમુદાય અને રાજકીય નેતાઓ વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો હતો. શેડો કોમ્યુનિટી મિનિસ્ટર તરીકે રેનરની વધારાની જવાબદારીને જોતાં, બ્રિટનમાં વસતા ભારતીય વારસાના લગભગ 1.8 મિલિયન લોકો સાથે વધુ સારી રીતે જોડાવા માટે લેબરે આ મુલાકાતને મહત્વપૂર્ણ ગણાવી હતી.

LCIO એ નિવેદનમાં જણાવ્યું હતું કે, “પ્રાંતીય અને રાષ્ટ્રીય સ્તરે રાજકીય નેતાઓને મળવા માટે લેબર પ્રતિનિધિમંડળને આ પ્રવાસે ઘણી મહત્વપૂર્ણ તકો પૂરી પાડી હતી.”

તેઓ નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર તથા વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા હતા. તો ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) ના બિઝનેસ લીડર્સ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરી હતી. યુકે-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (UKIBC) દ્વારા યુકે-ભારત આર્થિક ભાગીદારી વિશે વિગતવાર ચર્ચા કરાઇ હતી. તો અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાતે મહાત્મા ગાંધીના જીવન મિશન અને અન્ય લોકોના સંઘર્ષને યાદ કર્યો હતો. તેઓ ભારતમાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદન અને બ્રિટનમાં ભારતીય ફાર્માસ્યુટિકલ રોકાણો વિશે જાણવા ઝાયડસ લાઇફ સાયન્સના પ્રતિનિધિ ઓ સાથે મુલાકાત કરી હતી.

તેમણે દિલ્હીમાં અક્ષરધામ અને ગુરુદ્વારા બાંગ્લા સાહિબ, આગ્રામાં તાજમહેલ અને અમદાવાદમાં બોહરા સમુદાયની મુલાકાત લીધી હતી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments