પ્રતિકાત્મક તસવીર (istockphoto)

આવકવેરા વિભાગે આકારણી વર્ષ 2025-26 માટે ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈથી લંબાવી 15 સપ્ટેમ્બર કરી છે. વ્યક્તિગત કરદાતાઓ, એચયુએફ અને ખાતાઓનું ઓડિટ કરવાની જરૂર નથી તેવા એકમો હવે 15 સપ્ટેમ્બર સુધી તેમનું રિટર્ન ભરી શકશે.

એક નિવેદનમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ જણાવ્યું હતું કે ITR ફોર્મમાં કરવામાં આવેલા ફેરફારો મુજબ ટેક્સ સિસ્ટમ તૈયાર કરવા માટે અંતિમ તારીખને લંબાવવી જરૂરી હતી. આ વર્ષે આકારણી વર્ષ 2025-26નું ITR ફોર્મ એપ્રિલના અંતમાં નોટિફાઇ કરાયું હતું. અગાઉના વર્ષમાં આ ફોર્મને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં નોટિફાઈ કરાયું હતું.તેથી કરદાતાઓ સરળતાથી આઇટી ફોર્મ ભરી શકે તે માટે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે.

નિવેદનમાં જણાવાયું હતું કે 2025-26ના આકારણી વર્ષ માટેના ITRsમાં માળખાકીય અને કન્ટેન્ટ એમ બંનેમાં સુધારા કરાયા છે. તેનો હેતુ નિયમ પાલનને સરળ બનાવવાનો, પાદર્શકતા વધારવાનો અને સચોટ રિપોર્ટિંગને સક્ષમ બનાવવાનો છે. આ ફેરફારોને કારણે સંબંધિત ટેક્સ સિસ્ટમના અપગ્રેડેશન, ઇન્ટિગ્રેશન અને પરીક્ષણ માટે વધારાના સમયની જરૂર પડી છે. આ ઉપરાંત ટીડીએસ સ્ટેટમેન્ટની ક્રેડિટની માહિતી જૂનના પ્રારંભમાં જોવા મળી શકશે. તેનાથી રિટર્ન ભરવાનો સમયગાળો મર્યાદિત બન્યો હતો. સરકારે વ્યક્તિગત કરદાતા, એચયુએફ તથા ઓડિટની જરૂર નથી અને વાર્ષિક રૂ.50 લાખની કુલ આવક ધરાવતા એકમો માટે ઇનકમ ટેક્સ રિટર્ન ફોર્મ 1 અને 4ને નોટિફાઈ કર્યું છે.

LEAVE A REPLY