(Photo by SEBASTIAN D'SOUZA/AFP via Getty Images)
ભાઇશ્રી પૂજ્ય રમેશભાઇ ઓઝા

ચાલો ને આપણે જીવન્મુક્ત બનતા શીખીએ. ભગવાનની ભક્તિ કરીએ તો આપણું જીવન પણ એવું બની શકે છે. સૌપ્રથમ તો જીવન અંગે વાત કરીએ. કોઇ કહે છે કે જન્મ્યા, મોટા થયા, ઘરડાં થયા અને મરી ગયા. કોઇ કહે છે કે જીવન બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થાવાળું જીવન જાણે ત્રણ અંકનું નાટક છે. ત્રિઅંકી નાટક છે, પણ એવું નથી. જરા ઊંડાણથી વિચારશો તો જણાશે તો આ તો ચોર્યાસી છે. જન્મ એ પહેલો અંક છે. મોટા થયા બીજો અંક છે અને મૃત્યુ પામ્યા એ ત્રીજો અંક, અંતિમ અધ્યાય છે. આ રીતે ત્રણ અંકોનું નાટક છે જીવન. ત્રિઅંકી જીવન છે. જ્યાં સુધી તત્ત્વની સાથે નહીં ચાલીએ ત્યાં સુધી આ યાત્રા છે. માટે જ, જ્યારે સમગ્ર વિશ્વ વિષ્ણુમય બની જાય છે ત્યારે વ્યક્તિ સ્વયં ભગવદ્‌રૂપ બની જાય છે અને ત્યારે તેનો પુનર્જન્મ થતો નથી.
આપણા સંસારથી સંબંધિત કામ, ક્રોધ હંમેશા આપણને પીડતાં રહ્યાં છે. કોઇ એક સંતે સાચું જ કહ્યું છે કે આવશ્યકતા ક્યારેય અધૂરી રહેતી નથી અને ઇચ્છા ક્યારેય પૂર્ણ થતી નથી. આપણને જીવવા માટે ફેફસાંમાં જેટલી હવા જોઇએ તે તો ભગવાને આપણને પહેલેથી જ આપી છે. જીવનનાં વ્યવહારો ચલાવવા માટે આપણને અજવાળું જોઇએ, પ્રકાશ જોઇએ તો આકાશમાં સૂર્ય છે, ચંદ્ર છે જે આપણને મફતમાં પ્રકાશ આપે છે. પાણીની જરૂરિયાત છે તો ભગવાને આપણને પાણી આપ્યું છે.
ભક્ત કે સાધકનું કામ ઇચ્છા કરવાનું નથી. ભક્ત તો સંકલ્પ કરે છે, સંકલ્પ પૂર્ણ થાય તો ઈશ્વરની ઇચ્છા અને ન પણ થાય તો તેની કૃપા પ્રત્યેક ભક્ત ઉપર વરસતી જ રહે છે. દરેક ભક્ત જો સાધુ સંતોની વાતોને, મહાપુરુષોનાં વચનોને સમજીને આવશ્યકતા અનુસાર પોતાની ઇચ્છાઓને સંયમિત રાખતો થઇ જાય અથવા તો સીમિત રાખે તો કોઇ જ વ્યક્તિ દુ:ખી ન રહે. આપણા જીવનમાં આધ્યાત્મિક તેજની અભિવૃદ્ધિ થાય, પ્રેમ, શ્રદ્ધાનું ઝરણું સતત વહ્યા કરે તેવા જ આશીર્વાદ તેઓ આપણને આપતા હોય છે.
આ તત્ત્વની જે પરંપરા ચાલી તેમાં વિશ્વને આ મહાપુરુષોએ કંઇકને કંઇક આપ્યું છે અને બદલામાં કંઇ લીધું નથી. જો કંઇ લીધું હોય તો તે સાવ નગણ્ય છે. માટે જ મહાપુરુષોનાં ઋણમાંથી પણ મુક્ત થવું સંભવિત નથી. નીતિથી કમાયેલું ધન એ ધનની પૂજા છે. સાધન માત્ર પૂજા છે. મન અને ધન સાધન છે. ધર્મથી ધનની કમાણી કરવી જોઇએ. લોકસેવામાં ધનને લગાવશો તો એ ધર્મ છે. ધર્મનો હેતુ ધન છે. ધર્મનો હેતુ કામ છે. ધર્મ એટલે તત્ત્વ. એની અનુભૂતિ એ જીવનની અનુભૂતિ છે. નીતિપૂર્વકનું ધન જો ઘરમાં આવ્યું હોય તો તેનાથી જે ભોગ પ્રાપ્ત થાય છે, તે ભોગવતા-ભોગવતા એક દિવસ મન પણ ઉપરામ થઇ જશે. મનમાં વૈરાગ્ય આવી જશે, પરંતુ જો અનીતિનો પૈસો ઘરમાં આવ્યો હશે તો તેને ભોગવતા-ભોગવતા ક્યારેય તૃપ્તિ નહીં થાય, પરંતુ તેનાથી વિરુદ્ધની સ્થિતિ ઉત્પન્ન થશે એટલે કે તમારી આસક્તિ વધતી જશે. માટે જ આપણે ત્યાં શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે નીતિયુક્ત ધનની વાત કરવામાં આવી છે.
સામાન્ય ભાષામાં કહીએ તો પરસેવાની કમાણીની વાત કરવામાં આવી છે. જો ભોગોથી વૈરાગ્ય ન આવે તો સમજવું કે તમને જે ધન પ્રાપ્ત થયું છે, તે ધન યોગ્ય નથી. અધર્મથી આવેલું ધન છે, અનીતિથી આવેલું ધન છે. તો જેની પાસે ન હોય તેમને ધનનું આકર્ષણ રહે છે, પરંતુ એકવાર ભોગવી લેવાથી વૈરાગ્ય આવી જાય છે. માટે જ મહાપુરુષોએ નૈતિક મૂલ્યોને મહત્ત્વ આપ્યું છે.
જે વાત કરીએ છીએ તે ઉદાત્ત ચરિત ઋષિઓએ પહેલેથી જ કરી હતી કે સંપૂર્ણ વિશ્વ એક પરિવાર છે. આપણે તો મા અન્નપૂર્ણાને પ્રાર્થના પણ કરીએ છીએ કે ‘આપણા માતા-પિતા શિવ-પાર્વતી છે, જગતનાં જેટલાં લોકો છે, તે બધા શિવ-પાર્વતીનાં સંતાનો છે. શિવ-પાર્વતી જગતનાં માતા-પિતા છે. માટે આ જેટલા લોકો છે, એ મારા પરિવારજનો છે અને મારો દેશ ભુવનત્રયમ. એટલે કે ત્રિભુવન એ મારો દેશ છે. આજે આપણે દેશોની વચ્ચે જે ભેદરેખાઓ દોરી એવી કોઇ ભેદરેખા આવા ઉદાર ચરિત્રવાળા મહાપુરુષોનાં હૃદયમાં નથી. જ્યાં ત્રિભુવન એ સ્વદેશ લાગે છે, શિવ-પાર્વતી માતા-પિતા છે અને સમગ્ર સંસાર એક પરિવાર છે.
આપણી પોતાની ઋષિ-પરંપરા મુજબ આપણે જીવનમાં ત્રિભુવનની પ્રદક્ષિણા આપણે કરવા સક્ષમ છીએ. તે માટે જરૂર છે, આપણે પ્રામાણિક બનીએ, પરોપકારી બનીએ, પરસ્પર પ્રેમ પ્રસરાવીએ, એ જ જીવનની ખરી સાર્થકતા છે. આ જ સાચા અર્થમાં જીવન્મુક્ત બનવા માટે પ્રેમ, પ્રામાણિકતા, પરોપકારને દૈનિક જીવનના ક્રમમાં આવરી લઈએ.

LEAVE A REPLY

thirteen − six =