(Photo by MANPREET ROMANA/AFP via Getty Images)

બોલીવૂડમાં નસીબ અજમાવવા માટે ઘણા કલાકારો આવે છે, જેમાં ઘણા સફળ થાય છે અને બીજા અનેક નિષ્ફળ પણ ગયા છે. આ ઉપરાંત હિન્દી સિનેજગતમાં એવા ઘણા કલાકારો છે જેમણે ફિલ્મો સફળ થયા પછી અભિનયને અલવિદા કરીને કારકિર્દી માટે જુદું ક્ષેત્ર સ્વીકાર્યું હોય. અહીં એવા જ કલાકારોની ચર્ચા કરવામાં આવી છે.

ઊર્મિલા માતોંડકર
બોલીવૂડની રંગીલા ગર્લ- ઊર્મિલાએ સત્તાવાર રીતે બોલીવૂડને અલવિદા કહ્યું નહોતું, પરંતુ કારકિર્દીની ટોચે હતી ત્યારે તેણે લગ્ન અને પછી રાજકરણમાં સક્રિય થવા માટે
અભિનયના ક્ષેત્રમાંથી જવાબદારીઓ ઓછી કરી હતી.

કિમ શર્મા
સૌથી વધુ ‘મહોબતે’ ફિલ્મમાં પોતાની ભૂમિકાથી વધુ જાણીતી થયેલી કિમ શર્માએ ‘લૂટ’ પછી અભિનય ક્ષેત્ર છોડી દીધું હતું. તેણે પછી શોબિઝમાં જ કોર્પોરેટ રોલ સ્વીકાર્યા અને હવે તે ટેલેન્ટ મેનેમજમેન્ટ, ડિજિટલ પ્રોફાઈલ બનાવવા અને ઓરી સહિત ઈન્ફ્લ્યુન્સરો માટે બ્રાન્ડ વેલ્યુ બનાવવા જેવા કાર્યો સાથે સંકળાયેલી છે.

ગ્રેસી સિંહ
‘લગાન’, ‘મુન્નાભાઈ એમબીબીએસ’, ‘ગંગાજલ’ જેવી ફિલ્મોની અભિનેત્રી અને પછી ટીવી શો ‘સંતોષી મા, સુનિયે વ્રત કથાએ’માં જોવા મળેલી ગ્રેસી સિંહએ શાસ્ત્રીય નૃત્ય અને બ્રહ્માકુમારી સંસ્થામાં સક્રિય સભ્ય તરીકે આધ્યાત્મિકતા પર ધ્યાન કેન્દ્રિત કરવા બોલીવૂડને અલવિદા કહ્યું હતું.

મમતા કુલકર્ણી
1990ના દસકાની વિવાદાસ્પદ અભિનેત્રી મમતા કુલકર્ણી ‘કરણ અર્જુન’ અને ‘ચાઈના ગેટ’માં કામ કરીને ચર્ચાસ્પદ બની હતી, પણ તેણે ‘કભી તુમ કભી હમ’ પછી અભિનયને તિલાંજલિ આપી દીધી હતી. વર્ષો પછી તે આધ્યાત્મિકતા તરફ વળી હતી. ગત વર્ષે પ્રયાગરાજમાં મહાકુંભ દરમ્યાન કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર તરીકે નિયુક્ત થઈ હતી, જોકે પછી તેમાં વિવાદ ઊભો થતાં તેની હકાલપટ્ટી કરવામાં આવી હતી.

વિવેક ઓબેરોય
વિવેક ઓબેરોય બોલીવૂડમાં આંશિક રીતે સક્રિય છે. તેણે રીઅલ એસ્ટેટ અને વિવિધ બિઝનેસમાં ધ્યાન કેન્દ્રિત કરવા તેની ફિલ્મી જવાબદારીઓ ખૂબ જ ઘટાડી દીધી હોવાનું કહેવાય છે.

ઈમરાન ખાન
‘જાને તુ..યા જાને ના’ જેવી ફિલ્મોમાં લોકપ્રિયતા મેળવનાર ઈમરાન ખાને અંગત જીવન તેમજ કેમેરા પાછળની રચનાત્મક ભૂમિકા ભજવવા શાંતિપૂર્વક અભિનય ક્ષેત્રને અલવિદા કહી દીધી હતી.

રીમી સેન
2000ના દસકામાં ‘હંગામા’ (2003), ‘ધૂમ’ (2004) અને ‘ગોલમાલ’ (2006)થી વધુ જાણીતી થયેલી રીમી સેને દુબઈમાં રીઅલ એસ્ટેટમાં ધ્યાન કેન્દ્રિત કરવા બોલીવૂડને બાયા બાય કહી દીધું છે. આ નિર્ણય તેણે ઘણા સમય પહેલા લીધો હતો. તેના અભિપ્રાય મુજબ બોલીવૂડમાં મહિલા કલાકારોની કારકિર્દી લાંબો સમય નથી ચાલતી. રીમીના જણાવ્યા પ્રમાણે શાહરૂખ અને સલમાન જેવા કલાકારો મોટી વયે પણ હીરોની ભૂમિકા નિભાવી શકે છે પણ એક સમયે તેમની સાથે હીરોઈન તરીકે કામ કરી ચૂકેલી મહિલા કલાકારોએ હવે માતા અથવા અન્ય ભૂમિકા ભજવવી પડે છે.

/* */

ટ્વિન્કલ ખન્ના
રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની પુત્રી ટ્વિન્કલે 1990ના દસકાના અંત અને 2000ના દસકાના પ્રારંભમાં કેટલીક ફિલ્મોમાં કામ કરીને જાણીતી બની હતી. પછી તેણે અક્ષયકુમાર સાથે લગ્ન કરીને ઈન્ટીરીયર ડીઝાઈનિંગ અને પુસ્તક લેખન પર ધ્યાન કેન્દ્રિત કરવા બોલીવૂડ છોડી દીધું હતું. હવે તે પુસ્તક લેખિકા અને કોલમિસ્ટ તરીકે જાણીતી બની છે.

આસીન
‘ગજિની’ અને ‘રેડી’ જેવી ફિલ્મો સાથે અભિનય કારકિર્દી શરૂ કરનારા આસીને 2015માં બિઝનેસમેન રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા પછી પારિવારિક જીવન પર ધ્યાન આપવા બોલીવૂડને અલવિદા કહ્યું હતું.

સના ખાન
જાણીતા અને વિવાદાસ્પદ ટીવી શો બિગ બોસની ભૂતપૂર્વ સ્પર્ધક અને અભિનેત્રી સનાએ 2020માં ફિલ્મ જગતને છોડ્યું હતું. પછી તેણે વધુ અર્થસભર જીવન અને ધાર્મિક પથ પર આગળ વધી હતી. તેણે બોલીવૂડને પોતાની વિચારધારાથી વિપરીત હોવાનું જણાવ્યું હતું.

ઝાયરા વસીમ
‘દંગલ’ અને ‘સીક્રેટ સુપરસ્ટાર’ જેવી ફિલ્મોની અભિનેત્રી ઝાયરા વસીમે ધાર્મિક માર્ગ અપનાવીને યુવા વયે અભિનય ક્ષેત્ર છોડવાના નિર્ણયની જાહેરાત કરીને બોલીવૂડમાં ઘણા લોકોને ચોંકાવ્યા હતા.