(istockphoto.com)

 ભારતમાં કોરોનાના કેસોમાં ફરી વધારો થઈ રહ્યો છે ત્યારે એવિયેશન ક્ષેત્રની નિયમનકારી સંસ્થા DGCAએ તમામ એરલાઇન્સને બુધવારે કડક સૂચના આપી છે કે, જો મુસાફર ચેતવણી આપ્યા પછી પણ માસ્ક પહેરવાનો ઇનકાર કરે તો પેસેન્જરને ફ્લાઇટમાંથી ઉતારી મૂકો. ડાયરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના સર્ક્યુલરમાં જણાવ્યા અનુસાર “કોઇ પેસેન્જર ફ્લાઇટ ટેક-ઓફ થઈ ગયા પછી માસ્ક પહેરવાનો મનાઇ કરે અથવા કોવિડ-૧૯ પ્રોટોકોલનું પાલન ન કરે તો એરલાઇન તેને ‘ઉદ્ધત પેસેન્જર’ ગણાવી ચોક્કસ સમય માટે હવાઇ મુસાફરી પર પ્રતિબંધ મૂકી શકે.

આ ઉપરાંત, ટર્મિનિલ્સમાં માસ્ક નહીં પહેરનાર લોકોને નિયમોનું પાલન કરાવવા અને દંડ વસૂલવા એરપોર્ટ ઓપરેટર્સે સ્થાનિક પોલિસ અને સુરક્ષા એજન્સીઓની મદદ લેવી જોઇએ.” દિલ્હી હાઇકોર્ટના ૩ જૂનના આદેશનું પાલન કરવા સર્ક્યુલર જારી કરાયો છે. કોર્ટના આદેશમાં જણાવ્યા અનુસાર “DGCA દ્વારા એરપોર્ટ્સ પર અને વિમાનમાં તમામ સ્ટાફ માટે કડક નિર્દેશ જારી થવા જોઇએ. જેમાં ફ્લાઇટ એટેન્ડન્ટ્સ, એર હોસ્ટેસ, કેપ્ટન/પાઇલટ અને અન્ય સ્ટાફનો સમા‌વેશ થાય છે.”

કોર્ટે માસ્ક અને સ્વચ્છતાના નિયમોનો ભંગ કરનાર પેસેન્જર્સ અને અન્ય સામે કડક પગલાં લેવાની સૂચના આપી હતી. કોર્ટના જણાવ્યા અનુસાર વારંવાર નિયમનું પાલન નહીં કરનારને ‘નો-ફ્લાય લિસ્ટ’માં મૂકવા જોઇએ.” DGCAના બુધવારના સર્ક્યુલરમાં જણાવ્યા અનુસાર “પેસેન્જર્સ ફ્લાઇટ્સમાં યોગ્ય રીતે માસ્ક પહેરે છે કે નહીં તેનું એરલાઇન્સે ધ્યાન રાખવું જોઇએ. ‘અસામાન્ય સ્થિતિ કે યોગ્ય  કારણો હેઠળ જ માસ્ક હટાવવાની છૂટ આપવી જોઇએ.” પેસેન્જરને વધારાનો માસ્ક જોઇતો હોય તો એરલાઇને આપવો જોઇએ. સતત ચેતવણી છતાં પેસેન્જર સૂચનાનું પાલન ન કરે તો ટેક-ઓફ પહેલાં તેને ફ્લાઇટમાંથી ઉતારી શકાય.