The Prime Minister, Shri Narendra Modi ( PIB)

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેબિનેટની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આજે અંતરીક્ષ વિજ્ઞાન અને બેંક્સ મામલે મોટા સુધારાના વટહુકમને મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી આપી હતી. હવેથી સરકારી બેંક (અર્બન કો ઓપરેટિવ બેંક હોય કે પછી મલ્ટી સ્ટેટ કો ઓપરેટિવ બેંક) રિઝર્વ બેંકના સુપરવિઝન પાવરમાં આવશે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે 1,482 શહેરી સહકારી બેંક અને 58 બહુ રાજ્ય સહકારી બેંક સહિતની સરકારી બેંક્સ હવે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના સુપરવિઝન અંતર્ગત લવાઈ રહી છે. આરબીઆઈની શક્તિઓ જેમ અનુસૂચિત બેંક પર લાગુ થાય છે તેમ જ સહકારી બેંક પર પણ લાગુ થશે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, 1540 સહકારી બેંકને આરબીઆઈના સુપરવિઝનમાં લાવવાથી અનેક ખાતાધારકોને ફાયદો મળશે. આ બેંકોના 8.6 કરોડથી પણ વધારે થાપણદારોને આશ્વાસન અપાશે કે આ બેંકોમાં જમા 4.84 લાખ કરોડ રૂપિયા સુરક્ષિત રહેશે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ખૂબ જ મહત્વના નિર્ણયો લેવાયા છે. અંતરીક્ષ વિજ્ઞાન ક્ષેત્રે ભારે મોટા સુધારા કરવામાં આવ્યા છે. આજ સુધી આપણે અંતરીક્ષમાં સારો વિકાસ કર્યો છે અને હવે તે એક રીતે બધાના ઉપયોગ માટે ખોલવામાં આવી રહ્યા છે. તે સિવાય કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય વિમાની મથક ઘોષિત કરવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી.