ANI Photo/PIB)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન રાજ્યમાં સંખ્યાબંધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલારોપણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર (18 એપ્રિલે) ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને ગુજરાતની યાત્રા દરમિયાન રાજ્યમાં આશરે રૂ. 25,000 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સની લોકાર્પણ કે ખાતમુહૂર્ત કર્યું હતું.

વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ) પર પહોંચ્યા હતા અને વિવિધ પ્રેઝન્ટેશન નિહાળ્યા હતા. મોદીએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ઇ-સંવાદ પણ કર્યો હતો.
પ્રવાસના બીજા દિવસે 19 એપ્રિલે મોદીએ સાબરકાંઠા જિલ્લાના દિયોદર નજીક બનાસ ડેરી દ્વારા તૈયાર કરાયેલા નવા ડેરી સંકુલનું લોકાર્પણ કર્યું હતું. અહીં દૂધની સાથે ચોકલેટ, ચીઝ, માખણ, છાસ, આઈસક્રીમ સહિતનું ઉત્પાદન થશે. બનાસકાંઠા જિલ્લામાં જ વડાપ્રધાન મોદી બટાકાના પ્રોસિંસિંગ યુનિટનું અને કમ્યુનિટી રેડિયો સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

જામનગરમાં WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્રના શિલાન્યાસ માટે નરેન્દ્રભાઈ મોદી જામનગર એરપોર્ટ સ્ટેશન ખાતે આવી પહોંચતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. મોદી તેમજ અન્ય મહાનુભાવો સર્કિટ હાઉસ જવા માટે નીકળ્યા હતા ત્યારે એરફોર્સ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું. એરફોર્સથી વડાપ્રધાને સીધા જ પાયલોટ બંગલે પહોંચી જામરાજવી જામ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ જામનગર સર્કિટ હાઉસમાં જ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી સાથે મુલાકાત કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

20 એપ્રિલે વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ત્રિદિવસીય આયુષ સમિટને ખુલ્લી મૂકવાના છે. અહીંથી તેઓ 3.30 વાગ્યે દાહોદ જશે અને અહીં પાણી પુરવઠા, દાહોદ સ્માર્ટ સિટી, પીએમ આવાસ યોજના, જેટકોના સબ સ્ટેશન, પંચાયતના ભવનો અને આંગણવાડી સહિતની પરિયોજનાઓનું તેમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી 20મી એપ્રિલે દાહોદમાં રૂ.20,0000 કરોડના રોકાણથી 9000 HPના ઈલક્ટ્રિક રેલવે એન્જિનના નિર્માણ માટેના પ્લાન્ટ માટે ખાતમુહૂર્ત કરશે.

તાજેતરમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિજય પછી વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં 10 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. આ પછી ગુજરાતમાં પણ વહેલી ચૂંટણી થવાની અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે, આ અંગે સત્તા પક્ષ મૌન છે પરંતુ વિધાનસભાની ડિસેમ્બર 2022ની ચૂંટણી પહેલા રાજ્યમાં વિવિધ કાર્યક્રમો અને ભાજપ કાર્યલયમાં દોડધામ અને નેતાઓની ભાજપમાં એન્ટ્રીમાં વધારો જોવા મળ્યો છે.