વડાપ્રધાન મોદીએ આસામમાં રેલીને સંબોધતા કહ્યું કે, અહીંયાની માતાઓનો પ્રેમ મને ડંડા મારવા વાળાની વાત કરનારાથી સુરક્ષા કવચ આપશે. આટલા દાયકાઓથી અહીંયા ગોળીઓ ચાલતી રહી આજે ન્યૂ ઈન્ડિયાનો રસ્તો ખુલી ગયો છે. શાંતિ અને વિકાસના નવા અધ્યાયમાં તમારું સ્વાગત કરું છું. મોદીએ કહ્યું કે, મેં જીવનમાં ઘણી રેલીઓ જોઈ છે, પરંતુ ક્યારેય આટલો વિશાળ જનસાગર જોવાનું સૌભાગ્ય નથી મળ્યું. હેલિકોપ્ટરથી જોઈ રહ્યો હતો જ્યાં સુધી નજર જતી હતી ત્યાં લોકો દેખાતા હતા.તમે લોકો આવડી મોટી સંખ્યામાં મને આશીર્વાદ આપવા આવ્યા, આનાથી મારો વિશ્વાસ વધી ગયો છે.
ક્યારેક ક્યારેક લોકો મને ડંડો મારવાની વાત કરે છે. પરંતુ જે મોદીને આટલી મોટી સંખ્યામાં માતા-બહેનોના પ્રેમનું કવચ મળ્યું હોય, એને ગમે તેટલા ડંડા મારી લો કોઈ અસર નહીં થાય. હું આપ સૌને દિલથી ભેટવા માટે આવ્યો છું.વડાપ્રધાને કહ્યું કે, આ ઈતિહાસની સૌથી ઐતિહાસિક રેલી હશે. ક્યારેક ક્યારેક ડંડો મારવાની વાત કરે છે પરંતુ મને કરોડો માતા બહેનોનું કવચ મળ્યું છે. આજનો શહીદોને યાદ કરવાનો છે, જેમણે દેશ માટે બલિદાન આપ્યું છે. બોડો સમજૂતી પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજનો દિવસ સ્થાનિક લોકોની ઉજવણીનો છે, કારણ કે સમજૂતીથી સ્થાઈ શાંતિનો રસ્તો નીકળ્યો છે.
અહીંયા તેઓ બોડો બાહુલ્ય કોકઝારમાં સમજૂતીની ઉજવણીમાં ભાગ લેશે. ત્યારબાદ જનસભાને સંબોધશે. પૂર્વોત્તર ખાસ કરીને આસામમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ મોટી પાયે દેખાવો થયા હતા. આ સાથે જ ગત મહિને વડાપ્રધાન મોદીનો આસામ પ્રવાસ રદ થયો હતો. CAAના વિરોધમાં દેખાવો બાદ પણ તેમનો આ પહેલો પ્રવાસ છે.
મોદીએ ગુરુવારે ટ્વીટમાં બોડો સમજૂતીનો ઉલ્લેખ કરતા લખ્યું કે, હવે આસામમાં શાંતિ અને વિકાસનો નવો રસ્તો ખૂલી ગયો છે. છેલ્લા દિવસોમાં આસામા સરકાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને પ્રતિબંધિત નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ(NDFB) વચ્ચે દિલ્હીમાં ત્રિપલ કરાર થયો હતો. જેના હેઠળ 150 ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ કર્યું, જે લગભગ 50 વર્ષથી અલગ બોડોલેન્ડની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન સંઘર્ષમાં 4 હજારથી વધારે લોકો મોતને ભેટ્યા હતા.