Modi Kejriwal claimed victory in Surat election meeting
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 27 નવેમ્બરે ભરુચ જિલ્લાના નેત્રંગમાં ચૂંટણીસભાને સંબોધન કર્યું હતું. (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ રવિવારે ગુજરાતના ડાયમંડ સિટી સુરતમાં ચૂંટણીસભાઓ યોજી હતી. સુરત રાજ્યની 182-સભ્યોની વિધાનસભામાં 12 ધારાસભ્યોને મોકલે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં સુરતમાં 1 ડિસેમ્બરે મતદાન થશે. કાપડ અને હીરા ઉદ્યોગ અને ક્ષેત્રો સાથે સંકળાયેલા લાખો લોકોના સમર્થનથી લાંબા સમયથી સુરત ભાજપનો ગઢ રહ્યો છે.

સુરતમાં મોદી એરપોર્ટથી રેલી સ્થળ સુધીના 25 કિલોમીટરના રોડ-શો યોજ્યો હતો અને મોટા વરાછા ખાતે જાહેર સભાને સંબોધી હતી. વડાપ્રધાને ભરૂચ જિલ્લાના નેત્રંગ અને ખેડા જિલ્લાના મહેમદાવાદમાં રેલીઓને પણ સંબોધિત કરી હતી.

દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ સુરતના બે દિવસીય પ્રવાસ પર છે. તેમણે કાપડ ઉદ્યોગના અગ્રણીઓ તેમજ રત્ન કારીગરો સાથે ટાઉનહોલ બેઠકો કરી હતી અને યોગી ચોક ખાતે જાહેર સભાને સંબોધી હતી. કેજરીવાલ કતારગામમાં રોડ શો યોજ્યો હતો. AAPએ તેના રાજ્ય એકમના પ્રમુખ ગોપાલ ઇટાલિયાને કતારગામથી અને પૂર્વ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાને અનુક્રમે વરાછા રોડ અને ઓલપાડમાંથી મેદાનમાં ઉતાર્યા છે.

કોંગ્રેસે ક્યારેય આદિવાસીઓનું સન્માન કર્યું નથીઃ મોદી

નેત્રંગમાં મોદીએ જણાવ્યું કે કોંગ્રેસે ક્યારેય આદિવાસીઓનું સન્માન કર્યું નથી. ‘આઝાદીના 75 વર્ષ પછી પહેલી વખત આદિવાસી બહેને રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા હતા, ત્યારે અમે કોંગ્રેસવાળાને હાથ જોડીને વિનંતી કરી હતી કે, પહેલીવખત ભણેલી-ગણેલી આદિવાસી બહેન રાષ્ટ્રપતિ બને છે, તો સર્વસંમતિથી આપણે નક્કી કરીએ. પરંતુ તેઓ માન્યા નહીં.

ભરુચ જિલ્લાના વિકાસ કામો અંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે આજે ઝઘડિયા, પાનોલી, અંકલેશ્વર, વાગરા બધા વિસ્તારો ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી ધમધમે છે. તેનો આદિવાસીઓને મોટો ફાયદો થયો છે. ભરૂચ-અંકલેશ્વરને ટ્વિન સીટી તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યા છે. અંકલેશ્વરમાં એરપોર્ટ બની રહ્યું છે. પહેલા ડોક્ટર બનવું હોય તો અંગ્રેજીમાં ભણવું પડતું હતું અને મોટા શહેરોમાં જવું પડતું હતું. 75 વર્ષમાં કોંગ્રેસને કંઈ દેખાયું નહીં. પણ હું દિલ્હી ગયો અને મેં નક્કી કર્યું કે, હવે ડોક્ટર થવું હોય તો માતૃભાષામાં ભણી શકાય અને એન્જિનિયર થવું હોય તો પણ માતૃભાષામાં ભણી શકાય.

મોદીએ કહ્યું કે, ‘2જી અને 5જીમાંથી બહાર નીકળીને 5જીમાં પહોંચી ગયા છીએ. 4જી એટલે સાયકલ અને 5જી એટલે વિમાન આટલો ફરક છે આ બંનેમાં. હવે તો ખાલી 100થી 200 રૂપિયા જ બીલ આવે છે અને તેમાં પણ હવે 5જી આવી ગયું છે. ભાજપના સંકલ્પ પત્ર અંગે વાત કરતા મોદીએ કહ્યું કે, આ સંકલ્પ પત્રમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાની ચિંતા કરવામાં આવી છે. સૌથી વધુ સારી વાત એ છે કે, તેમાં ગુજરાતની યુવા પેઢીના ઉજ્જવળ ભવિષ્યની વાત કરાઈ છે. સંકલ્પ પત્ર એટલો વ્યાપક છે કે, તેને જોઈને જ ખબર પડે કે, ગુજરાત વિકસિત થવાની દિશામાં સાચા અને સારા પગલાં ભરીને આગળ વધી રહ્યું છે.

ગુજરાતમાં AAPની સરકાર બનશેઃ કેજરીવાલનો દાવો

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે સુરતમાં લેખિત નિવેદન આપ્યું હતું કે આગામી વિધાનસભા ચૂંટણી પછી આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સરકાર બનાવશે. દિલ્હી અને પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે તેમની ભવિષ્યવાણી સાચી પડી અને ગુજરાતમાં પણ આવું જ થશે.

તેમણે ગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે આગામી વર્ષે 31 જાન્યુઆરી સુધીમાં તેમના માટે જૂની પેન્શન યોજના લાગુ કરવાનું વચન પણ આપ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે લોકો સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)થી એટલા ડરે છે કે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AAPને સમર્થન આપવાનું ખુલ્લેઆમ સ્વીકારવામાં સંકોચ અનુભવે છે.

LEAVE A REPLY

15 + 11 =