પંજાબમાં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગંભીર ચૂકને કારણે મોટો વિવાદ ઊભો થયો હતો. હાઇવે પર પ્રદર્શનકારીઓના વિરોધને કારણે એક ફ્લાયઓવર પર વડાપ્રધાનનો કાફલો 15થી 20 મિનિટ સુધી ફસાઈ ગયો હતો અને તેનાથી મોદીએ પોતાની ચૂંટણીસભાને રદ કરવી પડી હતી. . (PTI Photo)

સુપ્રીમ કોર્ટે પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની મુલાકાત દરમિયાન થયેલી સુરક્ષાની ચૂકની તપાસ માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાના વડપણ પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે.

ચીફ જસ્ટિસ એન વી રમનાના વડપણ હેઠળની ખંડપીઠે જણાવ્યું હતું કે એકતરફી તપાસના સવાલ રહેવા જોઇએ નહીં અને આ તપાસની દેખરેખ ન્યાયતંત્રના નિષ્ણાત કરે તે જરૂરી છે. કોર્ટે આ મલ્હોત્રા સમિતિના બીજા સભ્યો તરીકે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ના ઇન્સ્પેક્ટર જનરલ, ચંદીગઢના પોલિસ મહાનિર્દેશક, પંજાબ એન્ડ હરિયાણા હાઇ કોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને પંજાબના એડિશન ડીજીપી (હેલ્થ)ની વરણી કરી છે.

સુપ્રીમ કોર્ટે પાંચ જાન્યુઆરીની પીએમની મુલાકાત દરમિયાન પંજાબ સરકારે કરેલી સુરક્ષાની વ્યવસ્થા અંગે જપ્ત કરવામાં આવેલા તમામ દસ્તાવેજ આ સમિતિને તાકીદે પૂરા પાડવાનો પણ પંજાબ એન્ડ હરિયાણા હાઇ કોર્ટના રજિસ્ટ્રાર જનરલને આદેશ કર્યો હતો. આ સમિતિ શક્ય હોય તેટલી ઝડપથી તેનો અહેવાલ સુપરત કરશે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે રચેલી સમિતિ એ બાબતની તપાસ કરશે તે સુરક્ષામાં ચૂક માટે કોણ જવાબદાર છે અને કેટલાં પ્રમાણમાં જવાબદાર છે. આ સમિતિ બંધારણી વડાની સુરક્ષા અંગે સૂચનો પણ કરશે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાને ટાળી શકાય.

આ ઘટનાની તપાસ વગર કેન્દ્ર સરકારની સમિતિ પંજાબના અધિકારીઓની ટીકા કરે રહી છે તેવી પંજાબ સરકારની ચિંતાની નોંધ લઈને કોર્ટે આદેશ આપ્યો હતો કે બીજી તમામ તપાસો બંધ કરો.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો પંજાબમાં ફિરોઝપુરના હુસૈનીવાલા સ્થિત શહીદ સ્મારક પાર્ક જતી વખતે ફ્લાઈઓવર પર ફસાઈ ગયો હતો. વાતાવરણ ખરાબ હોવાને કારણે વડાપ્રધાન હેલિકોપ્ટર નહીં પણ રોડ માર્ગે હુસૈનીવાલા જઈ રહ્યા હતા. અહીં ભારતીય જનતા પાર્ટીની એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. ખેડૂતોએ ચક્કાજામ કર્યો હોવાને કારણે 20 મિનિટ વડાપ્રધાનના કાફલાએ ફ્લાઈઓવર પર રોકાવુ પડ્યુ હતું.