(ANI Photo)
ભારતમાં ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો ગયા સપ્તાહે જાહેર થઈ ગયા. દેશમાં સત્તાસ્થાને બિરાજમાન થવા માટે ચાવીરૂપ, મહત્ત્વના ગણાતા ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની જોડીએ એક રેકોર્ડ કરી ઉત્તર પ્રદેશમાં ભાજપની સત્તા ટકાવી રાખી લગભગ 36 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. 1985 પછી રાજ્યમાં કોઈ પક્ષની સરકાર ફરીવાર ચૂંટાઈ નહોતી, હવે 2022માં યોગી આદિત્યનાથે તે રેકોર્ડ તોડ્યો છે. જો કે, 2017ની તુલનાએ ભાજપે 50 કરતાં વધુ સીટ ગુમાવી છે. બીજો રેકોર્ડ પંજાબમાં થયો, ત્યાં દિલ્હીમાં સત્તાધારી, અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીએ 117માંથી 92 બેઠકો ઉપર વિજયધ્વજ લહેરાવ્યો હતો, તો રાજ્યમાં મુખ્ય પ્રધાન, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને ક્રિકેટર તેમજ કોમેડિયનમાંથી નેતા બનેલા નવજોત સિધુનો કારમો પરાજય આંખ ઉઘાડનારો બની રહ્યો હતો.
પંજાબને બાદ કરતાં ઉત્તર પ્રદેશ ઉપરાંત પડોશના ઉત્તરાખંડ, મણીપુર તથા ગોવામાં ભાજપ જ સત્તા ઉપર આવ્યો છે, પણ સૌથી મહત્ત્વના પરિણામો ઉત્તર પ્રદેશ અને પંજાબના જ ગણાવાયા છે.
ઉત્તર પ્રદેશમાં સત્તા જાળવ્યા છતાં ભાજપ સહિતના એક સિવાયના તમામ પક્ષોએ અગાઉની તુલનાએ સીટ ગુમાવી છે, એકમાત્ર સમાજવાદી પક્ષના અખિલેશ યાદવે જ એકલા હાથે જંગ લડી પોતાની સીટ અને પ્રભાવ વધાર્યો છે. ગોવામાં પણ ભાજપની જ સરકાર હોવા છતાં 40 સીટની વિધાનસભામાં તે 21ની સ્પષ્ટ બહુમતી સુધી પહોંચી શક્યો નહીં, તો ઉત્તરાખંડમાં ધારણા કરતાં સારૂં પરિણામ – 70માંથી 48 સીટ મળ્યા છતાં ભાજપના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી પોતાની સીટ ઉપરથી હારી ગયા હતા. ઉત્તરાખંડમાં તો ભાજપે એકાદ વર્ષના ટુંકા ગાળામાં આ ત્રીજા મુખ્ય પ્રધાન બેસાડ્યા હતા અને હવે ચોથાની શોધ કરવી પડશે તેવી એક પ્રકારની નામોશીભરી સ્થિતિમાં પાર્ટી મુકાઈ છે.
અગાઉ પણ કેટલાક રાજ્યોની ચૂંટણીઓ થઈ ગઈ.
અગાઉ પણ કેટલાક રાજ્યોની ચૂંટણીઓ થઈ ગઈ. એકંદરે ચિત્ર એવું ઉપસે છે કે ખૂબજ લોકપ્રિય વડાપ્રધાન હોવા છતાં મોદી ભારતના અનેક રાજ્યોમાં પક્ષનું કદ વધારવામાં ખાસ સફળ નથી થયા. પશ્ચિમ બંગાળ, કેરાલા, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણ, ઓડિશા, પંજાબ જેવા રાજ્યોમાં આજે પણ ભાજપને ક્યાંય સત્તાની નજીક પણ પહોંચવાની તક દેખાતી નથી, તો બિહારમાં પણ નિતિશકુમારની આજુબાજુ જ સત્તાનું સમિકરણ ફર્યા કરે છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા સામે પણ ત્રણ-ત્રણવાર મોદી અને ભાજપનો ગજ વાગ્યો નથી અને હવે કેજરીવાલની સત્તાની પહોંચ પંજાબ સુધી લાંબી થઈ છે.
ઉત્તર પ્રદેશ સહિત તમામ રાજ્યોમાં કોંગ્રેસ માટે પણ પરિણામો સાવ માઠા સમાચાર જ છે. પક્ષનું અને તેના પ્રભાવનું કદ સતત નાનુ થતું રહ્યું છે, દરેકમાં તેણે તો નુકશાનમાં જ વધારો કર્યો છે અને બીજા કોઈ રાજ્યમાં પણ તેના માટે આશાના કોઈ સંકેતો હાલમાં તો જણાતા નથી. મોદી અને કોંગ્રેસ – બન્ને માટે એક સ્થિતિ તો સમાન લાગે છે. બન્ને કોઈ પ્રાદેશિક પક્ષને વધુ મહત્ત્વ આપવા તૈયાર નથી અને તેના પગલે મોદી અને ભાજપની પહોંચ નવા રાજ્યો સુધી વિસ્તરી શકતી જણાતી નથી, તો કોંગ્રેસનો પણ જિર્ણોધ્ધાર એ વિના કદાચ શક્ય નહીં બને તેવું લાગે છે.
ફેબ્રુઆરી – માર્ચની ચૂંટણીઓમાં જેની ખાસ નોંધ લેવાઈ નથી તેવા મણીપુરમાં ભાજપનો વિજય  ઉત્તર – પૂર્વમાં પાર્ટીના પ્રભાવનો પ્રારંભ દર્શાવે છે. જો કે, આ રાજ્યનું રાષ્ટ્રીય ફલક ઉપર કોઈ વિશેષ મહત્ત્વ નથી પણ એ તરફના નાના – નાના રાજ્યોમાં પણ પ્રાદેશિક પક્ષો અને સ્થાનિક નેતાઓના એક ચક્રી શાસન સામે રાષ્ટ્રીય પક્ષોની પહોંચ, રાષ્ટ્રીય રાજકારણના મુખ્ય પ્રવાહમાં તેમના ભળવાના સારા સંકેતો માની શકાય.