અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ગૃહકંકાસને પગલે પત્નીએ આવેશમાં આવી જઈને કથિત રીતે ચપ્પાના ઘા મારીને તેના પતિની હત્યા કરી હતી.પોલીસના જણાવ્યા અનુસાર પિતા રાતે ટીવી જોવા બેઠા અને ટીવી ચેનલ બંધ થઈ જતાં ઝઘડો કરીને નાના પુત્રને માર માર્યો હતો. જેથી પત્ની તેને બચાવવા માટે વચ્ચે પડી અને બાજુમાં રહેલું ચપ્પુ પતિની છાતીમાં મારી દેતા ત્યાં જ લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા. આ અંગે મૃતક વિજયસિંહના મોટાભાઈએ રાજેશભાઈ યાદવે આરોપી પત્ની દિપમાલા યાદવ સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે ગૃહકંકાસમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત હત્યા પાછળ બીજુ કોઈ કારણ છે કે નહીં તેની પણ તપાસ કરાશે. ફરિયાદના આધારે પોલીસે આરોપી મહિલા દિપમાલા યાદવની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી હતી

આ અંગે મૃતકના ભાઈએ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર નાના ભાઈ વિજયસિંહ યાદવ (45) AMTSની બસ ચલાવાની નોકરી કરતા હતા અને પરિવાર સાથે ચાંદલોડિયા સ્થિત વિશ્વકર્મા મંદિર પાછળ જયઅદિતી પાર્ક સોસાયટીમાં રહેતા હતા. આરોપી પત્ની દિપમાલા ઘરકામ કરે છે અને તેમના સંતાનોમાં ત્રણ બાળકો છે જેમાં સૌથી મોટી દીકરી હેતવી (17), પછી રૂચિ (16) અને છેલ્લે સોથી નાનો દીકરી મનજીત (11) છે.