પ્યૂ રિસર્ચ સેન્ટરે તાજેતરમાં જારી કરેલા એક રીપોર્ટમાં ખુલાસો કરાયો હતો કે 2010થી 2020 દરમિયાન વિશ્વની કુલ વસ્તીમાં મુસ્લિમોના પ્રમાણમાં મોટો ઉછાળો આવ્યો હતો અને ખ્રિસ્તીઓના પ્રમાણમાં ઘટાડો થયો હતો, જ્યારે હિન્દુઓનું પ્રમાણ લગભગ સ્થિર રહ્યું હતું.પ્યૂ રીસર્ચે 2,700થી વધુ વસ્તી ગણતરી અને સરવેનું વિશ્લેષણ કરીને આ રીપોર્ટ તૈયાર કર્યો હતો.
આ રીપોર્ટમાં મુજબ વિશ્વમાં ખ્રિસ્તીઓની સંખ્યા સૌથી વધુ છે. 2010થી 2020 દરમિયાન ખ્રિસ્તીઓની વસ્તી 2.18 અબજથી વધી 2.30 અબજ થઈ હતી, પરંતુ વિશ્વની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 30.6 ટકાથી ઘટીને 28.8 ટકા થયું હતું. બીજી તરફ મુસ્લિમોની સંખ્યા 34.7 કરોડ વધીને આશરે બે અબજ થઈ છે. તેનાથી વિશ્વની કુલ વસ્તીમાં મુસ્લિમોનું પ્રમાણ 1.8 ટકા વધીને 25.6 ટકા થયું હતું. તમામ ધર્મોમાં ઇસ્લામમાં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો છે.
રીપોર્ટમાં જણાવ્યા અનુસાર હિન્દુઓની સંખ્યા 12.6 કરોડ વધી 1.2 અબજ થઈ હતી. વિશ્વની કુલ વસ્તીમાં હિન્દુઓની પ્રમાણ 15 ટકાથી ઘટીને 14.9 ટકા થયું હતું. યહુદીઓની વસ્તી 2010માં 1.38 કરોડ હતી, જે 2020માં 1.48 કરોડ થઈ હતી. વિશ્વની વસ્તીમાં તેમનું પ્રમાણ માત્ર 0.2 ટકા રહ્યું હતું.
કોઇપણ ધર્મ સાથે ન જોડાયેલા લોકોની વસ્તીનું પ્રમાણ 23.3 ટકાથી વધીને 24.2 ટકા થયું હતું. આવા લોકોનું સૌથી વધુ પ્રમાણ ચીનમાં છે.
ખ્રિસ્તીઓના પ્રમાણમાં ઘટાડાનું કારણ વસ્તી વિષયક સ્થિરતા નહીં, પરંતુ ધાર્મિક પરિવર્તન છે. 2020ની સ્થિતિએ ખ્રિસ્તીઓ 120 દેશો અને પ્રદેશોમાં બહુમતી ધરાવતાં હતાં. એક દાયકા પહેલા 124 દેશોમાં ખ્રિસ્તીઓની બહુમતી હતી. બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને ઉરુગ્વેમાં ખ્રિસ્તીઓની વસ્તી 50 ટકાથી નીચે આવી ગઈ છે. તેમની વસ્તી બ્રિટનમાં 49 ટકા, ઓસ્ટ્રેલિયામાં 47 ટકા, ફ્રાન્સમાં 46 ટકા અને ઉરુગ્વેમાં 44 ટકા થઈ હતી.
વિશ્વની વસ્તીમાં મુસ્લિમોના પ્રમાણમાં વધારાના મુખ્ય કારણમાં યુવાન વસ્તી, ઊંચો પ્રજનન દર અને ઓછું ધર્મપરિવર્તન છે.
બૌદ્ધ એકમાત્ર એવો ધર્મ છે, કે જેની વસ્તી 2010ની તુલનામાં 2020માં ઘટી હતી. ઓછી પ્રજનન ક્ષમતા અને ધર્મપરિવર્તનને કારણે બુદ્ધ ધર્મના લોકોની સંખ્યા 34.3 કરોડથી ઘટીને 32.4 કરોડ થઈ હતી.
