ગુજરાતના જાણીતા કથાકાર મોરારીબાપુનાં ધર્મપત્ની નર્મદાબેનનું બુધવાર વહેલી સવારે નિધન થયું હતું. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 75 વર્ષના હતા. પાર્થિવદેહને તલગાજરડાના નિવાસસ્થાને સમાધિ આપવામા આવી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી નર્મદાબેનની તબિયત બગડી ગઈ હતી અને તેમણે છેલ્લા બે દિવસથી ખાવાનું બંધ કરી દીધું હોવાનું કહેવાય છે. મોરારી બાપુ અને નર્મદાબેનના લગ્ન વનોટ ગામમાં થયા હતાં અને તેમને ચાર બાળકો હતાં. તેમાં એક પુત્ર અને ત્રણ પુત્રીઓનો સમાવેશ થાય છે.
તેમના નિધનના સમાચારથી તલગાજરડામાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી, જ્યાં શ્રદ્ધાંજલિ રૂપે સંપૂર્ણ બંધ પાળવામાં આવ્યો હતો. મોરારી બાપુની આધ્યાત્મિક યાત્રામાં શાંત છતાં મજબૂત હાજરી આપનારા પૂજ્ય નર્મદાબેનના નિધન પર સ્થાનિકો અને ભક્તોએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
