પરમાર્થ નિકેતનના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર અને દૈવી શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ સાધ્વી ભગવતી સરસ્વતીજીના સંન્યાસના 25 વર્ષની બુધવાર, 11 જૂન 2025ના રોજ ઋષિકેશમાં માતા ગંગાના પવિત્ર કિનારે પરમાર્થ નિકેતનમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી. પૂજ્ય સાધ્વીજીએ 11 જૂન 2000ના રોજ સંન્યાસ ધારણ કર્યો હતો.
સાધ્વીજીનું જીવન અસાધારણ ભક્તિ અને પ્રભાવ સાથે માનવતા અને સનાતન ધર્મની સેવા માટે સમર્પિત રહ્યું છે.આ દાયકાઓ દરમિયાન, સાધ્વીજી વૈશ્વિક મંચ પર ભારતીય આધ્યાત્મિકતાનો અગ્રણી અવાજ બની ગયા છે, તેમણે સંયુક્ત રાષ્ટ્ર અને છ ખંડોમાં આંતરરાષ્ટ્રીય મંચો પર ભાષણ આપ્યું છે.
25મા સંન્યાસ દીક્ષા રજત જયંતી સમારંભ સનાતન ધર્મની કાલાતીત પરંપરાઓમાં મૂળ રહેલા અતૂટ સમર્પણ, સેવા અને આધ્યાત્મિક નેતૃત્વના પચીસ વર્ષના ઉજવણી બની હતી. રજત જયંતિ ઉજવણી પરમાર્થ નિકેતનના શ્રી રામ કથા મંચ પર યોજાઈ હતી. આ સમારંભમાં પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીજી, પૂજ્ય સ્વામી રામદેવજી, મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી રાજેન્દ્રદાસજી, મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી રવિન્દ્ર પુરીજી, મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી હરિચેતનાનંદજી, પૂજ્ય સંત શ્રી મુરલીધરજી, પૂજ્ય આચાર્ય બાલકૃષ્ણજી, પૂજ્ય ડૉ. ચિન્મય પંડ્યાજી, પૂજ્ય શ્રી અજયભાઈજી સહિતના સંતોની પાવન હાજરી અને આશીર્વાદ આપ્યાં હતાં.
આ પ્રસંગે પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે ભારતમાં જન્મ લેવો દુર્લભ છે અને પૂજ્ય સંતોના દર્શન મેળવવાની તક પણ વધુ દુર્લભ છે. દરેક ભારતીય ભગવાનનો જીવંત સંકેત છે.આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણે ભારતની ભૂમિમાં જન્મ્યા છીએ.સાધ્વીજીનો જન્મ હોલીવુડમાં થયો હતો, તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું હતું, ભારતની મુલાકાતે આવ્યા હતાં અને ભારતના બની ગયા હતાં. 28 વર્ષ પહેલા માનસરોવરની ધરતી પર 351 પ્રતિષ્ઠિત વ્યક્તિઓની પવિત્ર હાજરીમાં પૂજ્ય સ્વામી ગુરુશારાનંદજી મહારાજે સાધ્વીજીને ભગવતી નામ આપ્યું હતું અને તેમને સન્યાસ દીક્ષા આપી હતી.૧૯૯૬માં, સાધ્વીજી પહેલી વાર ભારતીય ભૂમિ પર ઉતર્યા અને પૂજ્ય ભાઈ શ્રીની કથા સાથે તેમના જીવનની સફર શરૂ કરી હતી.
