
ભારતના શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ લોકોને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર લઈ જનારા એક્સિઓમ-૪ અવકાશ મિશનનું પ્રક્ષેપણ બુધવારે ફરી મુલતવી રાખવામાં આવ્યું હતું, આ વખતે સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટમાં ટેકનિકલ સમસ્યાને સુધારવા માટે મિશન મોકૂફ રખાયું હતું. આ મિશનની નવી તારીખ જાહેર કરાઈ ન હતું.
અગાઉના કાર્યક્રમ મુજબ મિશન 10 જૂને લોન્ચ થવાનું હતું, પરંતુ ખરાબ હવામાનને કારણે તેને 11 જૂન સુધી મોકૂફ રખાયું હતું. આ મિશનની સફળતા પછી રાકેશ શર્માના 1984ના મિશન પછી અવકાશ ઉડાન ભરનાર શુભાંશુ શુકલા બીજા ભારતીય અવકાશયાત્રી બનશે.
લખનૌ સ્થિત શુભાંશુની બહેન સુચી શુક્લાએ જણાવ્યું હતું કે તેમને છેલ્લા એક પખવાડિયાથી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે, પરંતુ દિવસમાં એકવાર તેઓ અમારી સાથે ગ્રુપ કોલ માટે જોડાય છે. તેમની પત્ની ડૉ. કામના શુભા શુક્લા અને પાંચ વર્ષનો પુત્ર ફ્લોરિડામાં તેમની સાથે છે. અમે બધા ખૂબ જ ઉત્સાહિત છીએ અને સાથે-સાથે ખૂબ જ નર્વસ પણ છીએ. તેઓ ખૂબ જ આશાવાદી છે અને ઇચ્છે છે કે આ મિશન આગામી પેઢીઓ માટે પ્રેરણારૂપ બને.
સુચી શુક્લાએ જણાવ્યું હતું કે શુભાંશુ પોતાની સાથે કેટલીક ભારતીય વાનગીઓ લઈ જશે. તેઓ મગની દાળનો હલવો, ગાજરનો હલવો, કેરીનો રસ અને રાઇસ લઇ જશે. તેઓ અન્ય અવકાશયાત્રીઓ સાથે પણ આ સ્વાદિષ્ટ વાનગીઓ શેર કરવા માટે ઉત્સાહિત છે. ભારતીય ભોજનમાં મસાલાનું પ્રમાણ વધુ હોવાથી ઘણી વાનગીઓ લઈ જવાની પરવાનગી મળી ન હતી. પરંતુ અંતે કેટલીક વાનગીની મંજૂરી મળી છે. તેઓ ફિટનેસના શોખીન છે અને યોગમાં ખૂબ જ રસ ધરાવે છે, તેથી મને ખાતરી છે કે તે તેને સંતુલિત કરશે.
શુભાંશુના પિતા શંભુ દયાળ શુક્લા નિવૃત્ત સરકારી કર્મચારી છે. શંભુ દયાળ શુક્લાએ જણાવ્યું હતું કે મિશનની સફળતા માટે પ્રાર્થના કરવા માટે સત્યનારાયણ સ્વામી કથા અને હવનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આખો પરિવાર તેના માટે પ્રાર્થના કરી રહ્યો છે અને અમને બધાને ખૂબ જ આત્મવિશ્વાસ છે. અબ ડર નહીં લગ રહા હૈ. અમે ખુશ છીએ કે તેનું નામ ઇતિહાસના પુસ્તકોમાં અંકિત થશે. શુભાંશુની માતા આસ્થા શુક્લાએ જણાવ્યું હતું કે વો ખુદ બહુ ઉત્સાહિત હૈ કી વો ભારત કે લિયે કુછ નયા કરને જા રહા હૈ. બસ જલદી સે મિશન ખતમ કર કે વપાસ આ જાયે.
