Navratri Festival
. (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

કોરોનાના કેસો તળિયે આવી જતાં ગુજરાત સરકારે ગત શુક્રવારે નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી આપવા સહિતના કોરોના નિયંત્રણોને હળવા કરવાના સંખ્યાબંધ નિર્ણયો કર્યા હતા. 400 લોકોની મર્યાદા સાથે શેરી ગરબા યોજી શકાશે. જોકે, ક્લબ અને પાર્ટી પ્લોટ્સમાં ગરબા રમવા માટેની પરવાનગી આપવામાં આવી નથી. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ, 25 સપ્ટેમ્બરથી નાઇટ કરફ્યૂનો સમય 1 કલાક ઘટાડવામાં આવ્યો છે. હવેથી રાજ્યના મહાનગરોમાં રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કરફ્યૂ રહેશે.

આ વર્ષે નવરાત્રિમાં શેરી ગરબામાં 400થી વધારે લોકોને મંજૂરી નથી. જેથી શેરી-ગરબામાં પણ વધારે ભીડ ના થાય તે માટેનું આયોજન જે-તે સોસાયટીના ચેરમેન દ્વારા કરવાનું રહેશે. પાર્ટી પ્લોટ્સ કે અન્ય કોઈપણ બહારના સ્થળે ગરબાના આયોજનને મંજૂરી આપવામાં આવી નથી. જેથી 12 વાગ્યે ગરબા પૂર્ણ થયા બાદ કોઇ પ્રકારની અવરજવરને મંજૂરી આપવામાં નહી આવે. રાજ્યના જે 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ નાઇટ કરફ્યૂ અમલમાં છે ત્યાં તારીખ 25/9/2021ના રાત્રિના 12 કલાકથી તારીખ 10/10/2021 સવારે 6 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે.

રાત્રિ નાઇટ કરફ્યૂની સમયમર્યાદા અત્યારે રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધીની છે તેમાં એક કલાકનો ઘટાડો કરીને હવે રાત્રિના 12થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કરફ્યૂ રહેશે. આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે તે સંદર્ભમાં શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો 400 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. લગ્ન પ્રસંગોમાં અગાઉ 150 વ્યક્તિઓની જે મર્યાદા હતી તેમાં વધારો કરીને હવે 400 વ્યક્તિઓની છૂટછાટ આપવામાં આવી છે. રાજ્યમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખુલ્લી જગ્યાએ કે કોઇપણ જગ્યાએ કોમર્શિયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહિ. અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની 40 વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે.