પંજાબ કોંગ્રેસમાં કટોકટી વચ્ચે રાજયના પૂર્વ મુખ્યપ્રધાન અમરિન્દર સિંહ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળતા તેમના ભાજપમાં સામેલ થવાની અટકળોને વધુ વેગ મળ્યો હતો. PTI Photo)

પંજાબ કોંગ્રેસમાં કટોકટી વચ્ચે રાજયના પૂર્વ મુખ્યપ્રધાન અમરિન્દર સિંહ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળતા તેમના ભાજપમાં સામેલ થવાની અટકળોને વધુ વેગ મળ્યો હતો. પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ કૃષિ કાયદાને રદ કરીને અમરિન્દરને કેબિનેટ પ્રધાન બનાવશે એવી અટકળો વચ્ચે આ બેઠકનું ઘણું જ રાજકીય મહત્ત્વ છે.

અમરિન્દર સિંહ નવી દિલ્હીમાં અમિત શાહના નિવાસસ્થાને ગયા હતા અને બંને વચ્ચે 45 મિનિટ સુધી મીટિંગ થઈ હતી. અમરિન્દરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કૃષિ કાયદા સામે લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનની ચર્ચા થઈ હતી અને કૃષિ કાયદાને રદ કરીને આ કટોકટીનો ઉકેલ લાવવા ગૃહપ્રધાનને અનુરોધ કર્યો હતો.
રાજકીય નિરીક્ષકોના જણાવ્યા અનુસાર પંજાબ કોંગ્રેસમાં મચેલા ઘમાસણનો લાભ લઈને પંજાબમાં પોતાની રાજકીય તાકાતમાં વધારો કરવાની ભાજપે રણનીતિ બનાવી છે. અમરિન્દરને પણ પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુ સામેની લડાઇમાં ભાજપનો સપોર્ટની જરૂર છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે અમરિન્દર સિંહે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા જાય તેવી પણ શક્યતા છે. અમિત શાહ સાથેની બેઠકમાં તેમણે પંજાબમાં આંતરિક સુરક્ષાની પણ ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે. અમરિન્દર કહી રહ્યાં છે કે પંજાબમાં રાજકીય અસ્થિરતાથી પાકિસ્તાનના સમર્થકો બોર્ડર પરના રાજ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. તેમણે અગાઉના કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુને ઇમરાન ખાનના ખાસ મિત્ર ગણાવ્યા હતા. તેમણે અગાઉ આક્ષેપ કર્યો હતો કે સિદ્ધુ પંજાબ માટે ખતરો છે.

પંજાબ કોંગ્રેસના આ વરિષ્ઠ નેતા કોંગ્રેસના અસંતુષ્ટોના જૂથ ‘G- 23’ના નેતાઓ કપિલ સિબ્બલ અને ગુલામ નબી આઝાદને પણ મળી શકે છે. અમરિન્દરે અગાઉ જણાવ્યું હતું કે તેઓ રાજકારણમાંથી સંન્યાસ લેશે નહીં અને અંત સુધી લડાઈ ચાલુ રાખશે. તેમની પાસે કેટલાંક વિકલ્પો છે.