મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને શુક્રવાર, 28 જાન્યુઆરીએ યોજાયેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિની સમીક્ષા કરાયા બાદ રાજ્યના ૮ મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં નાઇટ કરફ્યૂનો અમલ 4થી ફેબ્રુઆરી સુધી યથાવત્ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત હોટેલ્સ- રેસ્ટોરન્ટસને હોમ ડિલિવરી સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટછાટ પણ યથાવત રાખવામાં આવી હતી. ગુજરાતમાં શુક્રવારે કોરોના વાયરસના નવા 12,131 કેસો નોંધાયા હતા અને વધુ 30 દર્દીઓના મોત નીપજ્યા હતા.

નાઇટ કરફ્યૂની હાલની જે અવધિ છે 29 જાન્યુઆરીના રોજ સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે. જેથી આજે કોર કમિટીની બેઠકમાં સરકાર નાઈટ કર્ફ્યૂ લંબાવીને 4 ફેબ્રુઆરી 2022 સુધી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્યમાં હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગરમાં નાઇટ કરફ્યૂનો અમલમાં છે, પણ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટિવિટી રેશિયો ધરાવતાં 19 નગરો જેવાં કે આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલિમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ 29 જાન્યુઆરી 2022થી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કરફ્યૂનો નો અમલ કરાવવામાં આવશે.

નવી ગાઈડલાઈન મુજબ, 8 મહાનગર અને 19 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યક સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્પલેક્ષ, માર્કેટિંગ યાર્ડ, સલૂન, સ્પા અને બ્યૂટીપાર્લર તેમજ અન્ય ગતિવિધિઓ રાત્રે 10.00 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. હોટલ અને રેસ્ટોરન્ટ્સ બેઠક ક્ષમતાના 75 ટકા સાથે રાત્રે 10.00 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં હોમ ડિલિવરી 24/7 ચાલુ રાખી શકાશે. ધોરણ-9થી 12 અને પોસ્ટ ગ્રેજ્યુએશન સહિતના વર્ગો તેમજ કોચિંગ ક્લાસ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના સામાજિક, રાજકીય, શૈક્ષણિક, સાંસ્કતિ, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળોએ ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓ અને બંધ સ્થળોએ ક્ષમતાના 50 ટકા (150થી વધુ નહીં) વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે. લગ્ન પ્રસંગમાં પણ 150 વ્યક્તિઓને જ મંજૂરી રહેશે અને લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અંતિમક્રિયા/દફનવિધિમાં વધુમાં વધુ 100 વ્યક્તિઓને મંજૂરી અપાઈ છે.

જાહેર અને ખાનગી બસ જો 75 ટકાની ક્ષમતા સાથે ચલાવાશે. સિનેમા હોલ, જીમ, વોટર પાર્ક, સ્વિમિંગ પુલ, લાઈબ્રેરી, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ બેઠક ક્ષમતાના 50 ટકા સાથે ચાલુ રાખી શકાશે. જાહેર બાગ-બગીચાઓ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે. શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓ પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયમ એસઓપી સાથે યોજી શકશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટસ સ્ટેડિયમ/સંકુલમાં રમતગમત પ્રેક્ષકોની ઉપસ્થિતિ વિના ચાલુ રાખી શકાશે.