લંડનના ગુજરાતી જૈન પરિવારના નિકેશ અશ્વિનકુમાર મહેતા, OBE ની સિંગાપોરના બ્રિટિશ હાઇ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે અને જુલાઈમાં તેઓ ચાર્જ સંભાળશે. તેઓ કારા ઓવેન, સીએમજીનું સ્થાન લેશે.

હાલમાં નિકેશ મહેતા નેશનલ સિક્યુરિટી કોમ્યુનિટીમાં પોલિસી અને રિક્વાયરમેન્ટ માટેના ડાયરેક્ટર છે. તેઓ 2018થી 2022 સુધી સિઓલ, કોરીઆમાં બ્રિટિશ એમ્બેસીમાં ડેપ્યુટી એમ્બેસેડર હતાં. તેઓ 2002માં ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)માં જોડાયા હતાં અને તેમણે ઈરાક, યુગાન્ડા અને મલેશિયામાં કામ કર્યું છે. યુગાન્ડામાં નિમણૂક તેમના માટે ખાસ હતી, કારણ કે તેમની માતા યુગાન્ડન-એશિયન માતા દીનાબેન 1970ના દાયકાની શરૂઆતમાં ઇદી અમીનના ત્રાસને કારણે વિસ્થાપિત બન્યાં હતાં.

તેઓ મલેશિયામાં પોલિટિકલ કાઉન્સેલર્સ પણ હતાં તથા 2014 અને 2015માં મલેશિયાની બે એરલાઇન્સ દુર્ઘટના માટે યુકેના પ્રતિભાવ માટે જવાબદાર હતાં. યુકેમાં તેમણે મુખ્યત્વે સંઘર્ષ અને સુરક્ષા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
તેમણે ત્રણ વર્ષ (2015-2018) માટે સરકારી કમ્યુનિકેશન હેડક્વાર્ટર (GCHQ) ખાતે ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે સેવા આપી હતી, જ્યાં તેમણે વૈશ્વિક સાયબર-સિક્યોરિટી પર કામ કર્યું હતું. તેમણે લઘુમતી પશ્ચાદભૂમાંથી કર્મચારીઓની ભરતી અને વિકાસને સુધારવા માટે ઝુંબેશનું નેતૃત્વ પણ કર્યું હતું.

સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે “મહેતાએ તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન ડાઇવર્સીટી અને ઇન્ક્લુસિવનેસની સતત હિમાયત કરી છે. તેઓ દ્રઢપણે માને છે કે રાજદ્વારી સેવાએ યુકેના સમાજને યોગ્ય રીતે પ્રતિબિંબિત કરવું જોઈએ, અને આ વિવિધતા દેશની સૌથી મોટી શક્તિઓમાંની એક છે.”

બ્રિટિશ વિદેશ નીતિ અને વિવિધતામાં યોગદાન બદલ તેમને 2014માં ક્વીન્સ બર્થડે ઓનર લિસ્ટમાં OBE એનાયત કરવામાં આવ્યો હતો.

નિકેશ મહેતાના માતા પિતા અશ્વિનભાઈ અને દીનાબેન મહેતા હેરોમાં રહે છે અને તેઓ નવનાત વણિક સમાજમાં માનવંતુ નામ છે. અશ્વિનભાઈ 70ના દાયકામાં નવનાત યુથ એસોસિએશન (NYA) ના સ્થાપક સભ્યોમાંના એક હતા અને તેમણે સ્થાપિત કરેલા સમર્પણ અને સેવાનો વારસો નિકેશે ગર્વથી જાળવી રાખ્યો છે. નિકેશની પ્રતિષ્ઠિત ભૂમિકા તેમની સખત મહેનત, પ્રતિભા અને શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

નિકેશના નાના ભાઈ ડો. રીતન મહેતા મેડીસીન ક્ષેત્રમાં સેવાઓ આપી રહ્યા છે અને હાલમાં ઈંગ્લેન્ડની મહિલા ફૂટબોલ ટીમના મેડિકલ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે નવનાત વણિક સમાજના 2019ના પ્રીતિ ભોજન દરમિયાન આયોજિત તબીબી શિબિરમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

LEAVE A REPLY

19 + 8 =