પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમદાવાદમાં પ્રદૂષણની સમસ્યા વધતા શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દિવસ દરમિયાન શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર મંગળવારે પ્રતિબંધ મૂક્યો હતો. તેનાથી હવે શહેરમાં સવારે 8 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ટ્રેક્ટર, ટ્રક કે અન્ય ભારે વાહનની અવર-જવર પર પ્રતિબંધ રહેશે. જોકે આરટીઓનાં કામકાજ માટે આવતાં વાહનોને સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી અવર-જવરની છૂટછાટ મળશે.

છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં પ્રદૂષણની સમસ્યા ખૂબ જ વધી રહી છે. ત્યારે હવે એને રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મોટર વેહિકલ એક્ટ અંતર્ગત એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. માત્ર આરટીઓ કચેરીનાં કામકાજ માટે નિર્ધારિત માર્ગ પર સવારે 10થી સાંજે 6 દરમિયાન લાઇટ વેહિકલને પ્રવેશ મળી શકશે.