• સલામતીના કારણોસર ખાલી સ્ટેડિયમમાં મેચો રમાશે
• હવે ફક્ત બે શહેરોમાં – લાહોર અને કરાચીમાં જ તમામ મેચ યોજાશે
ગલ્ફ વોરના પગલે પાકિસ્તાનને કરકસરના આકરા પગલાં લેવાની ફરજ પડી છે, તે સંજોગોમાં આ સપ્તાહથી શરૂ થનારી પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) ક્રિકેટ ટુર્નામેન્ટ મહદ્ અંશે નિરસ બની જાય તેવી શક્યતા છે. પીસીબીના નિર્ણય મુજબ હવે આ વર્ષે લીગની તમામ મેચ ફક્ત બે શહેરોમાં – લાહોર અને કરાચીમાં જ યોજાશે. તે ઉપરાંત, સુરક્ષાના જોખમોને ધ્યાનમાં લેતાં પ્રેક્ષકોને પ્રવેશ નહીં અપાય, ખાલી સ્ટેડિયમોમાં મેચ રમાશે. આના કારણે ટીમ ફ્રેન્ચાઈઝોને થનારા નુકશાનનું પીસીબી વળતર આપશે.
26 માર્ચથી શરૂ થનારી લીગનો ઉદઘાટન સમારંભ પણ રદ કરાયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસિન નકવીએ જણાવ્યું કે આ અંગે વડાપ્રધાન અને સુરક્ષા એજન્સીઓ સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો છે. નકવીએ કહ્યું હતું કે, સરકારે વર્તમાન આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની અવરજવર મર્યાદિત રાખવાની સલાહ આપી છે. આ સંજોગોમાં, સ્ટેડિયમમાં હજારો દર્શકોને લાવવા યોગ્ય નથી ગણાયું, તેના પગલે મેચ ખાલી સ્ટેડિયમમાં રમાડવાનો નિર્ણય લેવાયો છે.
PSLની મેચો મૂળ કાર્યક્રમ મુજબ 6 શહેરોમાં યોજાવાની હતી, પરંતુ હવે મુસાફરી અને સંસાધનોનો દુર્વ્યય ઘટાડવા તે માત્ર બે શહેરોમાં જ રમાડવાનો નિર્ણય લેવાયો છે.
ફૈસલાબાદ, પેશાવર અને રાવલપિંડી સહિતના અન્ય શહેરોમાં યોજાનારી મેચો રદ કરવામાં આવી છે. નકવીએ પેશાવરના લોકોની માફી પણ માંગી અને ભવિષ્યમાં ત્યાં મેચો યોજવાનો ભરોસો આપ્યો.
પ્રેર્શકો વિના મેચ રમાડવાની હોવાથી જે લોકોએ અગાઉથી ટિકિટો ખરીદી લીધી છે, તેમને ટિકિટના પૈસા 72 કલાકમાં અંદર રીફંડ કરી દેવાશે.
નકવીના જણાવ્યા મુજબ ફ્રેન્ચાઇઝી, સ્પોન્સર્સે પણ ટુર્નામેન્ટ આ રીતે યોજવાના નિર્ણયને સમર્થન આપ્યું છે. IPL 2026 માટે છેલ્લી ઘડીએ પાકિસ્તાન સુપર લીગ (PSL) છોડનારા વિદેશી ખેલાડીઓ સામે કાનૂની કાર્યવાહી કરાશે એવી જાહેરાત પણ કરી હતી.














