મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની કોલંબોમાં 5 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચ દરમિયાન ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સના સાથે હાથ મિલાવ્યા ન હતાં. ટોસ સમયે બંને કેપ્ટનો વચ્ચે કોઈ વાતચીત પણ થઈ ન હતી. અગાઉ એશિયા કપમાં પણ ભારતીય કેપ્ટનને પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ મિલાવ્યા ન હતાં અને તેનાથી વિવાદ થયો હતો.
ભારતીય ખેલાડીઓ દ્વારા પાકિસ્તાની ટીમથી અંતર રાખવાની આ ઘટના પહેલી નથી. આ વર્ષે 22મી એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારથી જ બંને દેશોના ખેલાડીઓ વચ્ચે સામાન્ય સંબંધો રહ્યાં નથી.
14મી સપ્ટેમ્બરે એશિયા કપ 2025માં જ્યારે ભારત અને પાકિસ્તાનની પુરુષ ક્રિકેટ ટીમ પહેલીવાર સામસામે આવી હતી, ત્યારે પણ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા નહોતા. પુરુષ ટીમે સમગ્ર એશિયા કપ દરમિયાન પાકિસ્તાનીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. ફાઇનલ જીત્યા બાદ પણ ટીમે ACC અધ્યક્ષ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.
પાકિસ્તાન સામેની આ મહત્વની મેચ માટે બંને ટીમોએ પ્લેઈંગ ઈલેવનમાં એક-એક ફેરફાર કર્યો હતો.. ભારતે અમનજોતની જગ્યાએ રેણુકા ઠાકુરને ટીમમાં સામેલ કરી હતી, જ્યારે પાકિસ્તાને ઓમૈમા સોહેલની જગ્યાએ સદાફ શમાસને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું આપ્યું હતું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ODI ઈતિહાસમાં પાકિસ્તાન સામે પ્રભાવશાળી રેકોર્ડ રહ્યો છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 11 મેચ રમાઈ છે, અને તે બધી જ મેચ ભારતીય ટીમે જીતી છે. પાકિસ્તાન હજી સુધી ભારત સામે ODI જીતવા માટે ઝંખી રહ્યું છે.
