ICMRએ ટ્વીટ કરીને કહ્યું કે, અત્યારે કોરોના વાયરસ માટે કોઈ ચોક્કસ ઉપચાર શોધવામાં આવ્યો નથી. આ જીવલેણ વાયરસને ડામવા માટે Convalescent plasmaએ ડોક્ટર્સ અને વિજ્ઞાનીઓ દ્વારા શોધાઈ રહેલા ઉપચારોમાંથી એક છે. જોકે, નિયમિત ચિકિત્સા માટે તેનો ઉપયોગ કરી શકાય તેવું કોઈ મજબૂત કારણ નથી મળી શક્યું.

ICMRએ પોતાના અન્ય એક ટ્વીટમાં કહ્યું કે Convalescent plasma થેરેપીની એન્ટીબોડી ટિટર પરીક્ષણની જેમ જ પોતાના તરફથી કેટલીક ટેક્નીકલ ચેલેન્જ છે. આ થેરેપીનો ઉપયોગ કરવામાં પણ ઘણા જોખમ રહેલા છે. જેમાં જીવલેણ એલર્જી રિએક્શન અને ફેફસાને પણ નુકશાન પહોંચી શકે છે.

આ અગાઉ કોરોના વાયરસના મામલા અને લોકડાઉનના મામલે થતી રોજીંદી પ્રેસ કોરન્ફરન્સમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસના સંક્રમીત દર્દીઓ પર પ્લાઝમા થેરેપીથી સારવાર શક્ય છે કે નહીં તે વિશે મંગળવારે સ્પષ્ટતા કરતા કહ્યું કે ઉપચારની આ પદ્ધતિ હજી સુધી અસરકારક સાબિત નથી થઈ શકી. પ્લાઝમા પદ્ધતિથી સારવારની પ્રક્રિયાને હજુ પણ પ્રયોગ તરીકે લેવાઈ રહી છે અને આવી કોઈ પણ પદ્ધતિને માન્યતા આપવામાં નથી આવી.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે પરીક્ષણમાંથી પસાર થઈ રહેલી પ્લાઝમા થેરેપી વિશે હજી સુધી કોઈ પુષ્ટીજનક પરિણામ નથી મળી શક્યા કે જેના આધાર પર એવો દાવો કરી શકાય કે આ પદ્ધતિથી કોરોના વાયરસના સંક્રમણની સારવાર થઈ શક્ય છે. તેમણે પ્લાઝમા પદ્ધતિથી કોરોના વાયરસના સંક્રમણની સારવારના દાવાને પાયા વિહોણા ગણાવતા સ્પષ્ટતા કરી કે આ પ્રકારની કોઈ પણ પદ્ધતિઓને હજી સુધી માન્યતા આપવામાં નથી આવી.

દેશની વિવિધ હોસ્પિટલ્સમાં પ્લાઝમા થેરેપીથી કોરોના વાયરસના સંક્રમણની સારવાર અપાઈ રહી છે. આ પદ્ધતિથી કોરોનાની સારવાર શક્ય હોવાના દાવાને સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રદિયો આપતા આ અંગે સ્પષ્ટતા કરતા આ અંગેની જાણકારી જાહેર કરી છે. અગ્રવાલે પ્લાઝમા થેરેપીથી કોરોના વાયરસ સંક્રમણની સારવારના દાવાને પાયા વિહોણો અને ગેરકાયદેસર ગણાવતા કહ્યું કે અત્યારે આ પદ્ધતિ પ્યોગ તેમજ પરીક્ષણમાંથી પસાર થઈ રહી છે.